VIDEO: 'રામાયણ'માં કૈકેયીના લુક પર કેમ થયો વિવાદ? ટ્રોલર્સને ડિઝાઈનરે આપ્યો જડબાતોડ જવાબ!
રામાયણ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ મુવીનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે સીતા અને કૈકેયીના કોસ્ચ્યુમને લઈને થોડી ચર્ચા અને વિવાદ થયો છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેના આઉટફિટ મોર્ડન છે. હવે ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઈનર રિમ્પલ અને હરપ્રીત નરુલાએ આ અંગે પોતાનો પક્ષ રાખ્યો છે.
રામાયણના કોસ્ચ્યુમ ડિઝાઈનરે શું કહ્યું
રિમ્પલ નરુલાએ કહ્યું કે ટીમનો ફિલ્મ પ્રત્યે અલગ અભિપ્રાય છે. ‘રામાયણ આપણા મનમાં વર્ષોથી વસેલી છે. કાસ્ટિંગ, કોસ્ચ્યુમ, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને લોકો શું સાચું અને ખોટું વિચારશે તેને લઈને હંમેશા અભિપ્રાયો રહેશે. અમે તેના માટે તૈયાર હતા. જે બાબત આપણને જોડી રાખે છે તે છે ક્રાફ્ટ પ્રત્યેની આપણી ઈમાનદારી.’
ડિઝાઈનર બોલ્યા: વિચારપૂર્વક લેવાયેલો નિર્ણય
રિમ્પલે સીતાના કપડાં અંગે કહ્યું, ‘જ્યારે મેં આંખો બંધ કરીને સીતા માતા વિશે વિચાર્યું, ત્યારે મેં આર્કિયોલોજિકલ ઓથેન્ટિસિટી (પુરાતત્વીય પ્રમાણભૂતતા) વિશે વિચાર્યું નહોતું. હું ઈચ્છતી હતી કે જેમ મંદિરમાં મારી માતા રહે છે, તેમ જ હું લુક બનાવું. આ એક વિચારપૂર્વક લેવાયેલો નિર્ણય હતો.’
લારા દત્તાના કૈકેયી લુક પર શું બોલ્યા રામાયણના ડિઝાઈનર
લારા દત્તાના લુક પર થઈ રહેલી ટીકાઓ અંગે હરપ્રીત નરુલા બોલ્યા કે, તેમના કોસ્ચ્યુમમાં જે ગ્રીન (લીલો) કલર છે તે વાત્સલ્ય અને મમતાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ડીપ મરૂન કલર ઈમોશનલ તાકાત અને તેમણે લીધેલા નિર્ણયોનું અંધારું દર્શાવે છે. તે પોતાના પુત્ર અને રામ વચ્ચે મૂંઝવણમાં છે. દરેક રંગને એક ખાસ હેતુ અને ઈન્ટેન્શન સાથે પસંદ કરવામાં આવ્યો છે. ક્યારેક લોકો પાછળના વિચાર સમજ્યા વગર જ તરત રિએક્ટ કરી લે છે.
રામાયણ જોયા વગર નિર્ણય ન લો
હરપ્રીતે દર્શકોને વિનંતી કરતા કહ્યું કે પહેલા ફિલ્મ જુઓ.‘આ અમારો પ્રયાસ છે કે રામાયણને એક નવી પેઢીના હિસાબે દર્શાવવામાં આવે. દરેક દોરા પાછળ એક વિચાર છે. અમે લોકોને એ જ અપીલ કરીશું કે ફિલ્મ જોયા વગર કંઈ પણ નક્કી ન કરે. પહેલા ફિલ્મ જુઓ, તેનો અનુભવ લો અને પછી પોતાનો અભિપ્રાય આપો.’
રિમ્પલે આગળ કહ્યું, ‘એ યુગના એવા કોઈ કપડાં બચ્યા નથી જેને અમે સહેલાઈથી ફરી બનાવી શકીએ. આપણે ફક્ત તેમના લુકને કેલેન્ડર આર્ટ, મિનિએચર પેઈન્ટિંગ અને મંદિરોમાં જોયા છે. વળી, રામાયણની પણ અલગ-અલગ સંસ્કૃતિઓ અને દેશોમાં અલગ-અલગ રીતે વ્યાખ્યા કરવામાં આવી છે.’
રામાયણની સ્ટાર કાસ્ટ
ફિલ્મની વાત કરીએ તો રામાયણમાં રણબીર કપૂરે રામ, સાઈ પલ્લવીએ સીતા, રવિ દુબેએ લક્ષ્મણ, યશે રાવણ, સની દેઓલે હનુમાન, લારા દત્તાએ કૈકેયી અને રકુલ પ્રીત સિંહે શૂર્પણખાનું પાત્ર ભજવ્યું છે.
રામાયણની રિલીઝ ડેટ
આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. જ્યારે રામાયણનો બીજો પાર્ટ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

