'કંગુવા' ટિકિટબારી પર ફલોપ જતાં સાઉથનો સૂર્યા આ રીતે કરશે ભરપાઈ, રજનીકાંત પણ કરી ચૂક્યો છે આ કામ

સાઉથના સ્ટાર સૂર્યાની 'કંગુવા' ફિલ્મ ટિકિટબારી પર ફલોપ થતાં સૂર્યા તેના નિર્માતાઓને વળતર ચૂકવી આપશે. સાઉથમાં મેગા બજેટ ફિલ્મ ફલોપ થવાના કિસ્સામાં રજનીકાંત સહિતના કલાકારો તેમના નિર્માતાઓને એક યા બીજી રીતે વળતર વાળી આપતા હોય છે. સૂર્યા પણ તેમને અનુસરી રહ્યો છે. આ ફિલ્મ ૩૫૦ કરોડનાં બજેટમાં બની છે. પરંતુ ટિકિટબારી પર તે પૂરા ૧૦૦ કરોડ પણ કમાઈ શકી નથી. ફિલ્મને પાન ઈન્ડિયા ધોરણે રીલિઝ કરવામાં આવી હતી પરંતુ હિંદીમાં પણ તે ચાલી નથી.
ફિલ્મના રિવ્યૂઝ પણ બહુ જ ખરાબ છે. આ સંજોગોમાં 'કંગુવા' માટે પોતે અગાઉ નક્કી કરેલી પૂરેપૂરી ફી નહિ લેવાનું સૂર્યાએ નક્કી કર્યું છે. આ ઉપરાંત તે આ જ નિર્માતાઓની વધુ એક ફિલ્મ પણ ઓછી ફી લઈને કરી આપવાનો છે.
અગાઉ ૩૦૦ કરોડથી વધુનાં બજેટમાં બનેલી રજનીકાંતની 'વેટ્ટિયન' ૨૫૦ કરોડની કમાણી પણ હાંસલ કરી શકી ન હતી. ત્યારે રજનીકાંતે આ જ માર્ગ અપનાવ્યો હતો.
'કંગુવા' ફલોપ થતાં સૂર્યાની કેરિયર પર પણ માઠી અસર થઈ છે. તેની રાકેશ ઓમ પ્રકાશ મહેરા સાથેની ફિલ્મ 'કર્ણ' ના ફાઈનાન્સરોએ હાથ અદ્ધર કરી દીધા છે. તેના કારણે આ ફિલ્મ હાલ પૂરતી અભેરાઈ પર ચઢી ગઈ છે.

