Sana Khanએ બોલિવૂડ છોડવાનું કારણ જણાવ્યું-"મારા પતિએ બ્રેનવોશ..."

ભૂતપૂર્વ અભિનેત્રી અને બિગ બોસ 6 ફેમ સના ખાન વિશે એવી અફવાઓ હતી કે તેના પતિએ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા માટે 'બ્રેનવોશ' કરી છે. પરંતુ હવે આ અફવાઓ પર ખુદ સનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
સનાએ બોલિવૂડમાં 'ટોયલેટ: એક પ્રેમ કથા' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નોંધનીય છે કે 2020 માં શોબિઝ છોડવાની જાહેરાત કર્યાના બરાબર એક મહિના પછી, સનાએ મુફ્તી અનસ સૈયદ નામના મુસ્લિમ મૌલવી અને બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. જુલાઈ 2023 માં તેમના પ્રથમ પુત્ર સૈયદ તારિક જમીલનો જન્મ થયો અને જાન્યુઆરી 2025 માં તેમના બીજા સંતાન સૈયદ હસન જમીલનું તેમના જીવનમાં આગમન થયું.
સનાએ અફવાઓ પર આપી પ્રતિક્રિયા
સનાએ એ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે કે તેના પતિએ તેને બોલિવૂડ છોડવા માટે સમજાવી કે બ્રેનવોશ કરી હતી. 'જય હો', 'ટોયલેટ: એક પ્રેમ કથા' અને વેબ સિરીઝ 'સ્પેશિયલ OPS' માટે જાણીતી સના ખાને ફરી એકવાર એ દાવાઓનું ખંડન કર્યું છે કે તેની જીવનશૈલી બદલવા પાછળ કોઈનું દબાણ હતું. બિગ બોસ 6 થી લોકપ્રિય થયેલી સનાએ 2020 માં પોતાની કારકિર્દીના શિખરે મનોરંજન જગતને અલવિદા કહી દીધું હતું. તેનું કારણ તેણે માનવતાની સેવા અને ઈશ્વરના આદેશોનું પાલન કરવાનું જણાવ્યું હતું.
એક વાતચીતમાં, સનાએ શોબિઝથી દૂર જવાના નિર્ણય, મુફ્તી અનસ સૈયદ સાથેના છૂપા લગ્ન અને ઓનલાઈન ચાલતી અફવાઓ પર ખુલીને વાત કરી હતી. લગ્ન વિશે વાત કરતા સનાએ જણાવ્યું કે આ આખી પ્રક્રિયા કેટલી ગુપ્ત હતી, જેની જાણ માત્ર તેના માતા-પિતાને જ હતી.
તેણે કહ્યું, "જ્યારે અમારા લગ્ન નક્કી થયા, ત્યારે તે એક ટોપ સિક્રેટ હતું. મારી મમ્મી અને પપ્પા સિવાય કોઈને ખબર નહોતી. વરરાજાનું નામ પણ કોઈ જાણતું નહોતું." તેણે મહેંદી સેરેમનીનો એક કિસ્સો યાદ કરતા કહ્યું, "જ્યારે હું મહેંદી લગાવી રહી હતી, ત્યારે આર્ટિસ્ટે મને વરરાજાનું નામ પૂછ્યું. મેં તેને કહ્યું કે આ જગ્યા ખાલી છોડી દો, અમે પછી લખી દઈશું."
સનાએ ટ્રોલર્સને આપ્યો જવાબ
સનાએ ટ્રોલર્સને સીધો જવાબ આપતા કહ્યું, "કોઈ પણ તમારું બ્રેનવોશ કરી શકતું નથી, એવું ક્યારેય નથી થતું. મારે શાંતિ જોઈતી હતી. એક વ્યક્તિને પૈસા, પ્રસિદ્ધિ, નામ અને ઈજ્જત મળી શકે છે, પરંતુ અંતે તો તે મનની શાંતિ જ શોધે છે. હું મારા પતિને હંમેશા કહું છું કે મને તેમનાથી વધુ સારું કોઈ મળી શક્યું ન હોત. આ ખરેખર એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ મેં તે લીધો."

