AR Rahmanના વિવાદાસ્પદ નિવેદન પર Rani Mukerjiએ તોડ્યું મૌન, બોલિવૂડમાં 'લોબિંગ' અંગે પણ કહી આ વાત

એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી પોતાની એક ટિપ્પણીને કારણે ચર્ચામાં હતા. રહેમાને કહ્યું હતું કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સાંપ્રદાયિક ભેદભાવ થાય છે અને તેના કારણે તેમને છેલ્લા 8 વર્ષથી કામ નથી મળી રહ્યું. સિંગરે એમ પણ જણાવ્યું કે હવે પાવર ક્રિએટિવ લોકોના હાથમાંથી છીનવાઈ ગયો છે.
હવે 'મર્દાની 3' ફેમ અભિનેત્રી રાની મુખર્જીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું કે તેણે પોતાની ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં ક્યારેય આવા ભેદભાવનો સામનો કર્યો નથી. તેણે કહ્યું, “બોલિવૂડ સૌથી વધુ બિનસાંપ્રદાયિક જગ્યા છે અને હું આ વાત પર પૂરો વિશ્વાસ રાખું છું. અહીં જાતિ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ નથી. ઇન્ડસ્ટ્રીમાં મારા 30 વર્ષોમાં મેં ક્યારેય આવું કંઈ અનુભવ્યું નથી. મને આ ઇન્ડસ્ટ્રી ખૂબ ગમે છે, તેણે જ મને આજે હું જે છું તે બનાવી છે.”
બોલિવૂડમાં લોબિંગ પર રાની મુખર્જીએ શું કહ્યું?
રાનીએ આગળ ઉમેર્યું કે તે આ વાત દિલથી કહી રહી છે. અહીં યોગ્યતા જ મહત્ત્વ રાખે છે. તમારું કામ જ તમારી ઓળખ છે અને અંતે પ્રેક્ષકો જેની સાથે જોડાય છે તે જ ટકી રહે છે અને સફળ થાય છે. તેના મતે બોલિવૂડ સૌથી અદભૂત જગ્યાઓમાંથી એક છે. જોકે, જ્યારે રાનીને ઇન્ડસ્ટ્રીમાં 'લોબિંગ' વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે આવી બાબતોથી પોતાને દૂર રાખે છે.
એ.આર. રહેમાને શું કહ્યું હતું?
એક ઇન્ટરવ્યુમાં એ.આર. રહેમાને પોતાના સંઘર્ષ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું કામની શોધમાં નથી. હું ઈચ્છું છું કે કામ મારી પાસે આવે; મારી મહેનત અને લગનથી મને કમાણી થાય. મને લાગે છે કે કામની શોધમાં ભટકવું મારા માટે અપશુકનિયાળ છે... આજકાલ જે લોકો ક્રિએટિવ નથી, તેમના હાથમાં નિર્ણય લેવાની શક્તિ છે અને આ કદાચ સાંપ્રદાયિક મુદ્દો પણ હોઈ શકે છે, પરંતુ મારી સામે નહીં. મને આ વાત ક્યાંકથી જાણવા મળી હતી કે કોઈએ મને બુક કર્યો હતો, પરંતુ પછી ઇન્ડસ્ટ્રીએ પોતાના પાંચ સંગીતકારોને કામ પર રાખી લીધા. મેં કહ્યું, 'વાહ, સરસ! હવે હું આરામ કરી શકું છું અને મારા પરિવાર સાથે સમય વિતાવી શકું છું.'”

