દિવંગત અભિનેતા ઋષિ કપૂરના મૃત્યુના 4 વર્ષ પછી રણબીરે કહ્યું, ‘મારા પિતા...’

રણબીર કપૂર દર વખતે પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતે છે. ગયા વર્ષે તેની ફિલ્મ ‘એનિમલ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે 900 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો અને દરેક જણ રણબીર કપૂરના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેણે આખી ફિલ્મ દરમિયાન પોતાના પાત્ર પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ‘એનિમલ’ રણબીરના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. પોતાના કામની સાથે-સાથે એક્ટર પોતાની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે.
ઋષિ કપૂરના સ્વભાવ વિશે કરી વાત
દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના દીકરા રણબીર કપૂર સાથેના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે. પિતા-પુત્ર વચ્ચેના સંબંધો સારા ન હોવાનું ઘણીવાર સાંભળવા મળતું હતું. એવું માનવામાં આવે છે કે, રણબીર તેના પિતા ઋષિ સાથે બહુ ફ્રેન્ડલી નહોતો. તાજેતરમાં રણબીરે તેના પિતા સાથેના સંબંધો વિશે વાત કરી હતી. યુટ્યુબર નિખિલ કામથના પોડકાસ્ટ 'પીપલ વિથ ડબલ્યુટીએફ' દરમિયાન, રણબીર કપૂરે ઋષિ કપૂર વિશે વાત કરતાં તેમના સ્વભાવ વિશે ચર્ચા કરી હતી.
ક્યારેય પિતાની આંખનો રંગ પણ નથી જોયો
પ્રોમોમાં રણબીર કહે છે કે, તેના પિતાનો સ્વભાવ ગુસ્સાવાળો હતો પરંતુ તેઓ સારા વ્યક્તિ હતા. તેણે ક્યારેય તેના પિતાની આંખોનો રંગ જોયો નથી. રણબીર હંમેશા પિતાની સામે માથું નમાવીને રહેતો. ‘એનિમલ’ની પ્રી-રિલીઝ ઈવેન્ટ દરમિયાન પણ રણબીરે તેના સ્વર્ગસ્થ પિતા વિશે વાત કરી હતી. અભિનેતાએ કહ્યું હતું કે, તેના પિતા ઋષિ ઘણી મુસાફરી કરતા હતા, જેના કારણે બંને મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી શક્યા ન હતા.
રણબીરના દિલની ખૂબ નજીક છે ‘એનિમલ’
રણબીરે વધુમાં કહ્યું હતું કે, તે તેના પિતાનું ખૂબ સન્માન કરે છે પરંતુ તેની સાથે ક્યારેય મિત્રતા નથી કરી. ફિલ્મ ‘એનિમલ’ રણબીરના દિલની ખૂબ જ નજીક છે. કારણ કે તેઓ તેની સ્ટોરી સાથે ઘણું રિલેટ કરી શકે છે. આ ફિલ્મ પિતા અને પુત્રના સંબંધો પર આધારિત હતી, જ્યાં પિતા તેના પુત્રને સમય આપી શકતા નથી અને પુત્ર તેના પિતા માટે ઝંખતો જોવા મળે છે.

