એક્ટર રાજપાલ યાદવે તિહાર જેલમાં કર્યું સરેન્ડર, ચેક બાઉન્સ કેસમાં મળ્યું હતું અલ્ટિમેટમ

દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં આદેશ આપ્યા બાદ અભિનેતા રાજપાય યાદવે આજે (5 ફેબ્રુઆરી) તિહાર જેલમાં અધિકારીઓ સમક્ષ સરન્ડર કરી દીધું છે. હાઈકોર્ટે રાજપાલ યાદવને સરન્ડર કરવા માટે સમયસીમા વધારવાનો ઈનકાર કરી દીધો છે.
રાજપાલે સાંજે 4.00 કલાકે સરન્ડર કર્યું
મીડિયા રિપોર્ટમાં જેલ સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, રાજપાલ યાદવે આજે સાંજે 4.00 કલાકે સરન્ડર કરી દીધું છે. હવે જેલ અધિકારીઓ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરશે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે ગઈકાલે નિર્દેશ આપ્યો હતો કે, અભિનેતાએ 4 ફેબ્રુઆરીએ જેલ સુપરિન્ટેન્ડન્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. જોકે રાજપાલ ગઈકાલે હાજર થયો ન હતો.
દિલ્હી હાઈકોર્ટે અભિનેતાની ફગાવી હતી અરજી
કોર્ટે બીજી ફેબ્રુઆરીએ અભિનેતાને આદેશ આપ્યો હતો કે, તે બુધવારે સાંજે 4.00 વાગ્યા સુધીમાં સરન્ડર કરી દે. આ દરમિયાન અભિનેતાના વકીલે કોર્ટને માહિતી આપી છે કે, રાજપાલે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દીધી છે. વકીલે ચૂકવણી કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. જોકે ન્યાયાધીશ શર્માએ સરન્ડરનો સમયગાળો વધારવાનો ઈન્કાર કરી અભિનેતાની અરજી ફગાવી દીધી હતી.
જાણો શું હતો મામલો ?
ઉલ્લેખનીય છે કે, રાજપાલ યાદવે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા' પૂર્ણ કરવા માટે એક કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેણે નાણાં ચૂકવણી માટે અનેક ચેક આપ્યા હતા, જોકે તમામ બાઉન્સ થઈ ગયા. ત્યારબાદ કંપનીએ તેની સામે કેસ દાખલ કર્યો હતો. તેણે ફિલ્મ પ્રોડક્શન માટે ચેક આપ્યા હતા, પરંતુ નાણાં મળ્યા ન હતા. ત્યારબાદ નીચલી કોર્ટે રાજપાલને દોષિત જાહેર કરીને 6 મહિનાની સજા સંભળાવી હતી. ત્યાર મામલો હાઈકોર્ટ પહોંચ્યા બાદ કોર્ટે અભિનેતાને થોડો સમય આપીને સજા અટકાવી દીધી હતી. આ દરમિયાન કોર્ટે શરત મૂકી હતી કે, તેઓ કંપનીને પૈસા ચુકવી દેશે. અભિનેતાઓ કોર્ટમાં અનેક વખત વચન આપ્યું હતું, પણ નાણાં ચૂકવવામાં તે દર વખતે નિષ્ફળ ગયો હતો. કોર્ટે ગઈકાલે કહ્યું હતું કે, અભિનેતાનો વ્યવાહર ખૂબ ખરાબ છે અને તે કોર્ટનો વિશ્વાસ તોડી રહ્યો છે.’

