Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Neil Nitin Mukesh still in search of opportunity

Chitralok: નીલ નીતિન મુકેશ: ત્રીસ વર્ષેય તકની તલાશમાં

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Chitralok: નીલ નીતિન મુકેશ: ત્રીસ વર્ષેય તકની તલાશમાં

અભિનેતા નીલ નીતિન મુકેશની અભિનય કારકિર્દીને ત્રણ ત્રણ દશક જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં તેણે ધારી ઊંચાઈ સર નથી કરી. આશ્ચર્યજનક વાત એ છે કે તેને હજી સુધી એક સારી તકની તલાશ છે. નીલ સ્વયં આ વાત કહે છે. લાંબા વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પણ નીલનો અભિનય પ્રત્યેનો લગાવ અકબંધ રહ્યો અને તાજેતરમાં તેની વેબ સિરીઝ 'હૈ જુનૂન' રજૂ થઈ.

App Store

એ વાત સર્વવિદિત છે કે નીલ લેજન્ડરી ગાયક મુકેશનો પૌત્ર અને અને સારા ગાયક નીતન મુકેશનો પુત્ર છે. પરંતુ તેણે દાદા અને પિતાની કંડારેલી કેડીએ ચાલવાને બદલે અભિનય ક્ષેત્રે કદમ માંડયા. અને માર્ગ બદલવાની કિંમત પણ ચૂકવી. અભિનેતા કહે છે કે, "મેં માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં મારું કામ શરૂ કરી દીધું હતું. હમણાં હું ૪૩ વર્ષનો છું. મતલબ, હું ૩૦ વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં છું. મારા પિતાએ મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તને કોઈપણ નિર્માતા આસાનીથી લોન્ચ નહીં કરે. અને હું તને લોન્ચ નહીં કરી શકું."

તે આગળ ખે છે, "તારી કારકિર્દી માટે તારે જાતે જ સખત મહેનત કરવી પડશે. મેં અનુપમ ખેરની એકેડમીમાં કામ કર્યું  છે, યશરાજમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું. દરેક બેનરની ઓફિસના દરવાજા ખટખટાવ્યા, સ્ટુડિયોના ચક્કર મારવામાં પણ પાછીપાની ન કરી, મેં બધાને એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે હું લે ગાયકોના પરિવારમાંથી આવું છું પરંતુ અભિનય મારો પહેલો પ્રેમ છે. અને હું તેમાં મને પુરવાર કરી શકું તેમ છું. મારી કમનસીબી એ છેકે ત્રણ દશકથી આ સિલસિલો અવિરત જારી છે. મારી દરેક ફિલ્મ પછી મને આ વાત દોહરાવવી પડે છે. અલબત્ત, મારી અંદર અખૂટ ધીરજ છે તેથી મેં ક્યારેય પીછેહઠ કરવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો."

'જોની ગદ્દાર', 'સાત ખૂન માફ', 'ઈન્દુ સરકાર', 'ન્યુયોર્ક' જેવી ફિલ્મો કરનાર નીલ કહે છે કે, "મેં ક્યારેય કોઈ ફિલ્મ એમ વિચારીને હાથ નથી ધરી કે આ મોટા બેનરની મૂવી છે કે તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. હું માત્ર મારા રોલને જોઈને તેમ જ જે તે દિગ્દર્શક પાસેથી મને શું શીખવા મળશે તે વિચારીને ફિલ્મ પસંદ કરું છું. મેં મારી સફળ ફિલ્મનો યશ લેવાનો પ્રયાસ ક્યારેય નથી કર્યો. આમ છતાં મને એ વાતનું દુ:ખ છે કે મને વારંવાર લોકોને યાદ અપાવવું પડે છે કે હું પણ છું, મને પણ કામની તલાશ છે, મને એક સારી તક આપો અને જૂઓ કે હું કેવો ચમત્કાર કરી શકું  છું."

લાંબા વર્ષો સુધી ધારી સફળતા ન મળવા છતાં નીલ ફિલ્મોદ્યોગમાં ટકી રહ્યો છે તેની પાછળ તેના પરિવારનું પીઠબળ છે. અભિનેતા કહે છે કે, "આજે મારું માનસિક સંતુલન અકબંધ છે, હું ચહેરા પરનું સ્મિત જાળવીને આગળ વધવાનો પ્રયાસ જારી રાખી રહ્યો છું. તેનો સઘળો યશ મારા પરિવારના સપોર્ટને ફાળે જાય છે. મારી અંદર એક આગ છે, એક સર્જનાત્મક વ્યક્તિ તરીકે મને તેનો યોગ્ય ઉપયોગ કરવો છે. જો મને એમ કરવા નહીં મળે તો એ આગળ કયું રૂપ લેશે તે હું નથી જાણતો."