ચાલું કોન્સર્ટને અધવચ્ચે મૂકી મોનાલી ઠાકુર દોડી હોસ્પિટલમાં, જાણો શું હતું કારણ

મુંબઇ: બિહારના દિનહાટા મહોત્સવમાં લાઈવ કોન્સર્ટ કરી રહેલી મોનાલી ઠાકુરને અચાનક શ્વાસની તકલીફ ઊભી થતાં તેણે કોન્સર્ટ અધવચ્ચે જ છોડવી પડી હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
અનેક અહેવાલોમાં એવા દાવા કરવામાં આવ્યા હતા કે “સવાર લૂ...” અને “મોહ મોહ કે ધાગે...” જેવી હિટ ફિલ્મો માટે જાણીતી ગાયિકા મોનાલી ઠાકુરને પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં દિનહાટા ફેસ્ટિવલમાં લાઇવ પરફોર્મન્સ દરમિયાન શ્વાસ લેવામાં ગંભીર તકલીફો અનુભવાતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હવે, મોનાલીએ તેણીના હોસ્પિટલમાં દાખલ થવા અંગેના અહેવાલોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે "વાયરલ ઇન્ફેક્શનમાંથી સાજા થવા માટે પૂરતો સમય ન મળવાને કારણે તાજેતરમાં અસ્વસ્થતા અનુભવી રહી હતી."
મોનાલીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, “પ્રિય મીડિયા અને મારા સ્વાસ્થ્ય માટે ચિંતિત દરેકને હું આ વિનંતી કરવા માટે લખી રહી છું કે મારા સ્વાસ્થ્ય વિશે ફરી રહેલા ખોટા સમાચાર શેર કરવામાં ન આવે. હું ખરેખર બધાના પ્રેમ અને ચિંતાઓની કદર કરું છું, પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે મને શ્વાસની કોઈ સમસ્યા નથી અને મને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી. તે ખોટી માહિતી છે.”
ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલાં વારાણસીમાં પણ મોનાલીએ ગેરવ્યવસ્થાનું કારણ આગળ ધરી એક કોન્સર્ટ અધવચ્ચેથી પડતી મૂકી દીધી હતી. બાદમાં મોનાલીએ સ્થાનિક આયોજકો દ્વારા પોતાની ક્રૂની સતામણી તથા ખોટી ફરિયાદો કરવામાં આવી હોવાના આરોપો મૂક્યા હતા.

