15 વર્ષના લગ્નજીવન બાદ માહી વિજ-જય ભાનુશાળીએ લીધા ડિવોર્સ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

ટીવીનું લોકપ્રિય કપલ માહી વિજ અને જય ભાનુશાળી હવે અલગ થઈ રહ્યા છે. તેઓએ તેમના 15 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો છે. જય અને માહીએ સોશિયલ મીડિયા પર અલગ થવાના સમાચાર અંગે એક પોસ્ટ શેર કરી છે. માહી અને જયે જણાવ્યું કે તેમની આ વાર્તામાં કોઈ વિલન નથી.
જય અને માહીએ પોસ્ટમાં શું લખ્યું?
જય અને માહીએ પોસ્ટ શેર કરીને લખ્યું, 'આજે અમે આ સફરમાં અલગ થવાનો નિર્ણય લઈએ છીએ, જેને જિંદગી કહેવાય છે. તેમ છતાં અમે એકબીજાને સાથ આપતા રહીશું. શાંતિ, વિકાસ, દયા અને માનવતા હંમેશા અમને શીખવતા રહેશે. અમારા બાળકો તારા, ખુશી અને રાજવીર માટે અમે બેસ્ટ પેરેન્ટ્સ અને બેસ્ટ ફ્રેન્ડ્સ બનીશું અને તે બધું જ કરીશું જે બાળકો માટે જરૂરી હશે.'

તેમણે આગળ લખ્યું, 'અમે અલગ-અલગ રસ્તા પર ચાલીશું, પરંતુ અમારી આ કહાનીમાં કોઈ વિલન નથી. આ નિર્ણય સાથે કોઈ પણ નેગેટિવિટી જોડાયેલી નથી. કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા, કૃપા કરીને જાણો કે અમે ડ્રામા કરતા વધુ શાંતિ અને સમજદારીને પસંદ કરીએ છીએ. અમે એકબીજાનું સન્માન કરતા રહીશું, એકબીજાને સપોર્ટ કરીશું અને હંમેશા મિત્રો બનીને રહીશું. અમે એકબીજાનું સન્માન કરવાની સાથે તમારી પાસેથી પણ માન અને પ્રેમની અપેક્ષા રાખીએ છીએ.'
જણાવી દઈએ કે જય અને માહીએ વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. આ કપલ 3 બાળકોના માતા-પિતા છે. બે બાળકો ખુશી અને રાજવીરના તેઓ ફોસ્ટર પેરેન્ટ્સ છે, જ્યારે 2019 માં તેઓ પુત્રી તારાના માતા-પિતા બન્યા હતા. આ કપલ પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહેતું હોય છે. બંનેના છૂટાછેડાને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, જોકે તે સમયે તેમણે મૌન જાળવ્યું હતું અને હવે તેમણે સત્તાવાર રીતે છૂટાછેડાની પુષ્ટિ કરી છે.
આ કપલ સોશિયલ મીડિયા પર બાળકો સાથે અવારનવાર રીલ્સ બનાવતા જોવા મળે છે. માહી હાલમાં 'સહર હોને કો હૈ' શોમાં જોવા મળી રહી છે.

