રિલીઝ થયો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' નો પહેલો પ્રોમો, જાણો ક્યારથી ટીવી પર જોવા મળશે તુલસી વિરાણી
એકતા કપૂરના લોકપ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ની બીજી સિઝન ખૂબ જ ટૂંક સમયમાં નાના પડદા પર આવવાની છે. મેકર્સે 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' નો પહેલો પ્રોમો શેર કર્યો છે. આ સાથે, સ્મૃતિ ઈરાનીની સિરિયલના ટેલિકાસ્ટની તારીખ અને સમય પણ જાહેર કરવામાં આવ્યો છે.
સ્ટાર પ્લસે 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' નો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં, એક પરિવાર ભોજન કરતો અને ચર્ચા કરતો જોવા મળે છે કે તુલસી વિરાણી ફરીથી સ્ક્રીન પર પાછી ફરશે કે નહીં. આ પછી, સ્મૃતિ ઈરાની તુલસીની પૂજા કરતા જોવા મળે છે. તે 25 વર્ષ જૂના તુલસીના પાત્રમાં હાથ જોડીને કહે છે - "હું ચોક્કસ આવીશ કારણ કે આપણો 25 વર્ષનો સંબંધ છે. તમને ફરી મળવાનો સમય આવી ગયો છે."
ક્યારે શરૂ થશે આ સિરિયલ?
'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' ના પ્રોમો સાથેના કેપ્શનમાં લખ્યું છે, "શું તમને હજુ પણ વિશ્વાસ નથી આવતો? 25 વર્ષ પછી, તુલસી વિરાણી એક નવી વાર્તા સાથે પરત ફરી રહી છે! 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ફરી એકવાર દરેક ઘરનો ભાગ બનવા માટે તૈયાર છે. શું તમે પણ તૈયાર છો? 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' જુઓ, 29 જુલાઈથી રાત્રે 10:30 વાગ્યે, ફક્ત સ્ટાર પ્લસ પર અને ગમે ત્યારે JioHotstar પર."
'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' વિશે સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?
એક ઇન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીએ 25 વર્ષ પછી 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' માં પાછા ફરવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, "ક્યુંકી સાસ ભી કભી બહુ થીમાં પાછા ફરવું એ ફક્ત એક પાત્ર તરફ પાછા ફરવાનું નથી, પરંતુ એક એવી વાર્તા તરફ પાછા ફરવાનું છે જેણે ભારતીય ટેલિવિઝનને ફરીથી વ્યાખ્યાયિત કર્યું અને મારા જીવનને નવો આકાર આપ્યો. તેણે મને કમર્શિયલ સકસેસ કરતાં વધુ કંઈક આપ્યું. તેણે મને લાખો ઘરો સાથે જોડાવાની અને એક પેઢીના ઈમોશનમાં સ્થાન મેળવવાની તક આપી."

