હાઇકોર્ટે અલ્લુ અર્જુનને આપી રાહત, જામીન પર કર્યો મુક્ત

પુષ્પા 2 ફિલ્મની સ્ક્રીનિંગમાં મચેલી નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ ઘટનામાં એક મહિલા ચાહકનું મોત નિપજ્યું હતું. આ મામલે એફઆઈઆર રદ કરાવવા અલ્લુ અર્જુને તેલંગાણા હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા હતા. જો કે તે પહેલા જ હૈદરાબાદ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. જો કે ત્યારબાદ તેની ધરપકડ કરી નામપલ્લી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. વકીલોની દલીલો બાદ એક્ટર અલ્લુ અર્જુનને નામપલ્લી કોર્ટે 14 દિવસના રિમાન્ડ આપ્યા હતા.
જો કે અલ્લુ અર્જુનની ધરપકડ મામલે તેના વકીલો દ્વારા પણ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે અલ્લુ અર્જુનને રાહત આપી છે. અને જામીન પર મુક્ત કર્યો છે.
બોડીગાર્ડની ધરપકડ
હૈદરાબાદમાં નાસભાગ દરમિયાન મહિલાની મોતના કેસમાં અલ્લુ અર્જૂન બાદ તેના પર્સનલ બોડીગાર્ડ સંતોષની પણ ધરપકડ કરવામાં આવી છે. તેલંગાણાના ACP ચિક્કાડપલ્લી (Chikkadpally) એ આ વાતની પુષ્ટિ કરી છે. અલ્લુ અર્જૂનની ધરપકડ બાદ એક્ટરના પિતા અલ્લૂ અરવિંદ અને તેમના ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
પોલીસે કરી પુષ્ટિ- અલ્લુ અર્જુનની ધરપકડ
અલ્લુ અર્જુનની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી રહી છે ત્યાં અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા. બીજી તરફ મીડિયાના સવાલોના જવાબ આપતા હૈદરાબાદ પોલીસે પુષ્ટિ કરી છે કે, 'હા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે.'
અલ્લુ અર્જુનને ગાંધી હોસ્પિટલ લઈ જવાયો
અલ્લુ અર્જુનને મેડિકલ ચેકઅપ માટે પોલીસ ગાંધી હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બાદમાં તેને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હૈદરાબાદ નાસભાગમાં એક પ્રત્યક્ષદર્શીની સાક્ષીમાં નિવેદન નોંધ્યું હતું. સેન્ટ્રલ ઝોન ડીસીપીએ તેમનું નિવેદન નોંધ્યું છે.
પોલીસે સવારે નાસ્તો પણ કરવા દીધો નહિ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની વહેલી સવારે જ ધરપકડ કરી હતી. પોલીસે તેને સવારનો નાસ્તો પણ કરવા દીધો ન હતો. સીધા બેડરૂમમાંથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને ચા પણ પીવા દીધી ન હતી. બાદમાં તેણે ઉભા ઉભા પોલીસ સામે જ ઝડપથી ચા પીને તાત્કાલિક પોલીસ વાનમાં બેસી ગયો હતો.
સંધ્યા થિયેટર દ્વારા આપવામાં આવેલો પત્ર સામે આવ્યો
હૈદરાબાદના સંધ્યા થિયેટર અને પોલીસ પ્રશાસન વચ્ચે અભિનેતા અલ્લુ અર્જુનના આગમનને લઈને વિવાદ થયો છે. થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે તેઓએ અભિનેતાના આગમનના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. થિયેટર મેનેજમેન્ટનું કહેવું છે કે પુષ્પા 2 ના પ્રમોશન દરમિયાન તેઓએ પોલીસને અલ્લુ અર્જુનના આગમન વિશે લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં લીધાં નથી.
કયા કેસમાં કરાઇ કાર્યવાહી?
આ મહિને સાઉથ ઈન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એવખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતા રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

