શાહરૂખ અને ગૌરી ખાનને દિલ્હી હાઇકોર્ટનું સમન્સ, માનહાનિ કેસમાં સમીર વાનખેડેએ માંગ્યુ 2 કરોડનું વળતર

દિલ્હી હાઇકોર્ટે શાહરૂખ ખાન, તેના પત્ની ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સને માનહાનિના કેસમાં સમન્સ મોકલ્યું છે. આ સમન્સ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ફટકારવામાં આવ્યું છે. કોર્ટે તમામ પક્ષોને પોતાના જવાબ દાખલ કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. આ કેસની સુનાવણી 30 ઓક્ટોબરે થશે.
સમીર વાનખેડેએ કર્યો હતો માનહાનિનો દાવો
સમીર વાનખેડેએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે 18 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી વેબ સિરીઝ 'The Ba**ds Of Bollywood'એ તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. આ શો શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે અને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.
વાનખેડેનું કહેવું છે કે આ સિરીઝમાં એક રોલ તેને દર્શાવવાનો પ્રયાસ કરે છે કે જે NCB અધિકારીની ભૂમિકામાં છે તે જે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તે તેમને બદનામ કરનારૂ છે.
સમીર વાનખેડેએ 2 કરોડનું વળતર માંગ્યુ
પૂર્વ NCB અધિકારીએ કોર્ટમાં અનુરોધ કર્યો કે શોના કન્ટેન્ટને માનહાનિકારક જાહેર કરવામાં આવે અને તેના માટે તેમણે 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. વાનખેડેનો દાવો છે કે શો પ્રસારિત થયા બાદ સોશિયલ મીડિયા પર તેને કેટલીક અપમાનજનક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો છે અને તેની સાર્વજનિક છબીને નુકસાન થયું છે.
કોઇની છબી ના બગાડી શકાય
માનહાનિની અરજીમાં કહેવામાં આવ્યું કે કોઇ પણ ક્રિએટિવ અથવા ફિલ્મી કલ્પનાની આડમાં કોઇ વ્યક્તિની છબી ના બગાડી શકાય. વાનખેડેએ એમ પણ જણાવ્યું કે શોમાં તેનું નામ અથવા ઓળખનો સીધો ઉપયોગ ભલે ના કરવામાં આવ્યો હોય પરંતુ દર્શકો માટે આ સ્પષ્ટ છે કે રોલ તેનાથી પ્રેરિત છે.
દિલ્હી હાઇકોર્ટે પ્રાથમિક સુનાવણી દરમિયાન તમામ પક્ષને નોટિસ ફટકારતા સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં 30 ઓક્ટોબરે તમામ પક્ષની દલીલ સાંભળવામાં આવશે.

