આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની પહેલી ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ પર પ્રતિબંધ, જાણો સમગ્ર મામલો

બોલિવૂડ સ્ટાર આમિર ખાનના દીકરા જુનૈદ ખાનને લોન્ચ કરતા અને આજે ઓટીટી પર રિલીઝ થનારી ‘મહારાજ’ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયને લઈ વિવાદિત ટિપ્પણીઓ અન હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી બાબતો વણાયેલી હોવાના વિવાદને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજન્ટ રિટ અરજી દાખલ થઈ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ સંગીતા વિશેણે ‘મહારાજ’ ફિલ્મને રિલીઝ કરવા સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે.
બદનક્ષી કેસ 1862 પર આધારિત છે ફિલ્મ ‘મહારાજ’
ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપભરી રજૂઆત કરાઈ હતી કે, ‘મહારાજ’ ફિલ્મ એ મહારાજ બદનક્ષી કેસ 1862 પર આધારિત ફિલ્મ છે અને તેમાં વૈષ્ણવ- પુષ્ટિમાર્ગીય સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડતી વાતો અને ટિપ્પણીઓ જેવી બાબતો રજૂ કરવામાં આવી છે. જેના કારણે જાહેર વ્યવસ્થાને વિપરીત અસરો થશે અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવવાની દહેશત છે.
હિન્દુ ધર્મની નિંદા કરતો ચુકાદો આપ્યો હતો
અરજદારપક્ષ તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું કે, મહારાજ બદનક્ષીનો કેસમાં 1862માં એ વખતે બોમ્બેની સુપ્રીમ કોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિગીતો-સ્તોત્રો વિરૂદ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો, તેના આધાર પર આ ફિલ્મ બનાવાઈ છે અને જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે.
ગુપ્ત રીતે ઓટીટી પર આ વિવાદિત ફિલ્મ રિલીઝ કરવાનો પ્લાન
વાસ્તવમાં, ફિલ્મનું ટ્રેલર કે કોઈ પ્રમોશનલ ઈવેન્ટ કર્યા વિના જ ગુપ્ત રીતે ઓટીટી પર આ વિવાદિત ફિલ્મ રિલીઝ કરી દેવાની ચાલ છે, તેથી હાઈકોર્ટે વિશાળ જનહિતમાં તાત્કાલિક તેની રિલીઝ પર રોક લગાવવી જોઇએ. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી આજે રિલીઝ થનારી ‘મહારાજ’ ફિલ્મના રિલીઝ પર રોક લગાવી દીધી હતી.

