પોલીસે લગભગ ચાર કલાક સુધી કરી અલ્લુ અર્જુનની પૂછપરછ, ઈમોશનલ થઈ ગયો 'પુષ્પા 2' એક્ટર

સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં મંગળવારે તેલંગાણા પોલીસે અલ્લુ અર્જુનની પૂછપરછ કરી હતી. એક્ટર તેના પિતા અલ્લુ અરવિંદ અને વકીલો સાથે લગભગ 11:00 વાગ્યે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તે બપોરે 2:45 વાગ્યે પોલીસ સ્ટેશનથી નીકળ્યો હતો. લગભગ ચાર કલાક સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન, પોલીસે એક્ટરને પૂછ્યું કે શું તે જાણતો હતો કે ઓથોરિટીએ તેને તે થિયેટરમાં જવાની પરવાનગી આપી નથી.
આ પણ વાંચો: એક્ટ્રેસ અને એનિમલ લવર જયાએ ગલુડિયાને બચાવ્યું, યુવક દ્વારા બન્યું હતું યૌન શોષણનો ભોગ
સેન્ટ્રલ ઝોનના ડીસીપી અક્ષંશ યાદવ સાથેની પોલીસ ટીમે અલ્લુ અર્જનની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન એક્ટરને તેની અંગત સુરક્ષા વિશે પણ પૂછવામાં આવ્યું હતું અને આરોપ મૂકવામાં આવ્યો હતો કે બાઉન્સરોએ કથિત રીતે તેના ફેન્સને ધક્કો માર્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. અલ્લુ અર્જુનના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું કે એક્ટરે પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો અને જો જરૂર પડશે તો તેઓ તેમને ફરીથી બોલાવશે.
નાસભાગનો વીડિયો જોઈને અલ્લુ અર્જુન ઈમોશનલ થઈ ગયો
અલ્લુ અર્જુન પૂછપરછ દરમિયાન ઈમોશનલ થઈ ગયો હતો. 'પુષ્પા 2' એક્ટરની લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેને સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2' સ્પેશિયલ શોમાં થયેલી નાસભાગનો વીડિયો બતાવવામાં આવ્યો હતો. વીડિયો જોતી વખતે અલ્લુ અર્જુન શ્રીતેજ અને રેવતીને ઈજાગ્રસ્ત થતા જોઈને ઈમોશનલ થઈ ગયો હતો.
પૂછપરછ માટે કડક સુરક્ષા વ્યવસ્થા
મંગળવારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને પોલીસે પોલીસ સ્ટેશન તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણો પણ લાદી દીધા હતા.
આ છે સમગ્ર મામલો
4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો, જેને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે એક્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને હૈદરાબાદ પોલીસે 13 ડિસેમ્બરે તેની ધરપકડ કરી હતી. તેલંગાણા હાઈકોર્ટે તે જ દિવસે એક્ટરને ચાર અઠવાડિયાના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા અને 14 ડિસેમ્બરની સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

