GST સુધારા અને S&P ગ્લોબલ અપગ્રેડ વિદેશી રોકાણકારોને ભારતીય શેરબજારમાં પાછા લાવશે?

હાલમાં જ ભારતને બે મોટા પોઝિટિવ સંકેત મળ્યા છે. GSTના દરોમાં ફેરફારની તૈયારી અને S&P ગ્લોબલ રેટિંગ્સે ભારતને લાંબાગાળાના સોવરેન ક્રેડિટ રેટિંગને માઈનસથી વધારીને પ્લસ કરી દીધું છે. જે રોકાણગ્રેડથી એક સ્તર ઉપર છે. આઉટલુક પણ "સ્થિર" રાખવામાં આવ્યો છે. પરંતુ નિષ્ણાતો માને છે કે ફક્ત આના કારણે વિદેશી રોકાણકારો તાત્કાલિક ભારતીય શેરબજારમાં પાછા ફરશે એવું હાલમાં લાગતું નથી.
નિષ્ણાતો કહે છે કે, વિદેશી રોકાણકારોનું વાસ્તવિક વળતર ત્યારે જ થશે જ્યારે કોર્પોરેટ કમાણીમાં સુધારો થશે અને નીતિગત વાતાવરણ સ્થિર હશે, પછી ભલે તે ભારતમાં હોય કે વૈશ્વિક સ્તરે.
સરકારી પ્રયાસો અને બજારની સ્થિતિ
જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વીજયકુમારે જણાવ્યું હતું કે, જીએસટી પર સરકારે નવા ફેરફારના સંકેતો આપ્યા પછી માર્કેટના સેન્ટિમેન્ટમાં સુધારો તો આવ્યો છે, પરંતુ અસલી બદલાવ ત્યારે જ આવશે, જ્યારે કંપનીઓના નફામાં ઉછાળો આવશે. તેમનું માનવું છે કે જ્યારે કંપનીઓની કમાણીમાં સુધારો સ્પષ્ટપણે દેખાય ત્યારે જ સતત અને મજબૂત તેજી શક્ય છે.
વિદેશી રોકાણકારોનું વેચાણ ચાલુ
એનએસડીએલના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ નાણાકીય વર્ષ 2025માં અત્યાર સુધીમાં લગભગ ₹1.17 લાખ કરોડના ભારતીય શેર વેચ્યા છે. જાન્યુઆરી 2025 માં સૌથી મોટો વેચાણ જોવા મળ્યો હતો, જે લગભગ ₹78,000 કરોડનો હતો. ઓગસ્ટ સુધીમાં તેમણે ₹22,200 કરોડના શેર વેચી દીધા હતા.
કોટક ઓલ્ટરનેટ એસેટ મેનેજર્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ કહે છે કે, હાલમાં વિદેશી રોકાણકારો ઉભરતા બજારો તરફ જોઈ રહ્યા છે, કારણ કે અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત તેજીએ ત્યાંના શેર ખૂબ મોંઘા કરી દીધા છે.
ભારત પાછલા ક્વાર્ટરમાં થોડું નબળું રહ્યું છે, પરંતુ 2025-26 ના બીજા ભાગમાં સરકાર તરફથી વધુ નીતિગત નિર્ણયો આવી શકે છે અને તહેવારોની મોસમ અને આરબીઆઇ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને કારણે કંપનીઓની કમાણીમાં સુધારો થઈ શકે છે. રેટિંગ અપગ્રેડ લાંબા ગાળે વિદેશી રોકાણકારો માટે સકારાત્મક છે, પરંતુ ટેરિફ (આયાત ડ્યુટી)ની સ્થિતિ હાલમાં સૌથી મોટું જોખમ પરિબળ છે.
કંપનીઓનું પ્રદર્શન
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ અનુસાર, નિફ્ટી કંપનીઓનો નફો વાર્ષિક ધોરણે 8% વધ્યો છે, જ્યારે તેમની અપેક્ષા માત્ર 5% હતી. સૌથી મોટા યોગદાન આપનારાઓમાં ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ, એચડીએફસી બેંક અને આઇસીઆઇઆઇ બેંકનો સમાવેશ થાય છે, જેણે 77% સુધીની કમાણી વૃદ્ધિ આપી હતી. બીજી તરફ, કોલ ઇન્ડિયા, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, ઓએનજીસી, એચસીએલ ટેક, કોટક બેંક, એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે જેવી કંપનીઓ પર નકારાત્મક અસર પડી.
કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ માને છે કે નિફ્ટી-50નો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 26 માં લગભગ 9.6% અને નાણાકીય વર્ષ 27 માં 17.5% વધી શકે છે.
રોકાણકારો માટે સલાહ
નિષ્ણાતો કહે છે કે જો ટેરિફ સંબંધિત કોઈ નિર્ણય ભારતીય શેરબજારમાં ઘટાડો લાવે છે, તો તેને લાંબા ગાળાની ખરીદીની તક તરીકે ગણવી જોઈએ.
સીએલએસએના ક્રિસ્ટોફર વુડે જણાવ્યું હતું કે, ભારત પર ટ્રમ્પની 50 ટકા ટેરિફ પોલિસીને વેચવાલીનું કારણ નહીં માનવું જોઇએ. પરંતુ એને ખરીદીની કે લેવાલીની તક તરીકે જોવી જોઇએ. તેઓ માને છે કે ટ્રમ્પ આ વલણથી પાછળ હટી જશે. હાલમાં, ભારતીય શેરોનું મૂલ્યાંકન 10 વર્ષની સરેરાશની નજીક આવી ગયું છે, તેથી ભારતમાંથી રોકાણ ઘટાડવું એ મોડાં લેવાયેલું પગલું હશે.

