પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળી રહ્યો છે ડબલ ફાયદો, ઉંચા વ્યાજદરની સાથે મળશે ટેક્સ છૂટનો લાભ

સામાન્ય રીતે મોટાભાગના લોકો સુરક્ષિત રોકાણ સાથે સારૂ વ્યાજ પણ મળે અને ટેક્સમાં પણ બચત થાય તેવું ઈચ્છતા હોય છે. આ બમણો લાભ તમને પોસ્ટ ઓફિસની યોજનાઓમાં મળી શકે છે. પોસ્ટ ઓફિસમાં બેન્કની જેમ અનેક પ્રકારની યોજનાઓ છે, જે સારા એવા વ્યાજદરની સાથે ટેક્સમાં પણ લાભ આપે છે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ
ઉંચા વ્યાજ અને ટેક્સમાં લાભ મેળવવા પોસ્ટ ઓફિસની પાંચ વર્ષની એફડીમાં રોકાણ કરી શકો છો. જેને પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ તરીકે ઓળખવામાં આવે છે. જે ટેક્સ ફ્રી છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટમાં હાલ 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં પણ ઉંચા વ્યાજ અને ટેક્સ છૂટનો લાભ મળે છે. જેમાં વાર્ષિક 7.7 ટકાના દરે વ્યાજ મળે છે. આ સ્કીમ પણ ફિક્સ ડિપોઝિટને સમકક્ષ લાભો પ્રદાન કરે છે. પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી આ સ્કીમનો લાભ લઈ શકો છો.
રૂ. 2 લાખના રોકાણ પર પાંચ વર્ષે કેટલું વ્યાજ મળશે?
ઉદાહરણ તરીકે એક વ્યક્તિ રૂ. 2 લાખનું રોકાણ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટમાં કરે છે. જેમાં વાર્ષિક 7.5 ટકાના દરે વ્યાજની ગણતરી કરીએ તો તેમાં રૂ. 89990નો નફો મળશે. અર્થાત પાંચ વર્ષના અંતે રૂ. 2,89,990ની આવક થશે. તેવી જ રીતે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં પણ પાંચ વર્ષના અંતે રૂ. 289807 મળવા પાત્ર થશે.
તમને સવાલ થતો હશે કે, એનએસસીમાં વ્યાજનો દર વધુ હોવા છતાં બંનેમાં સમાન રિટર્ન કેમ મળી રહ્યું છે? તો તેની પાછળનું કારણ છે કે, પોસ્ટ ઓફિસની એફડીમાં વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે થાય છે, જ્યારે એનએસસીમાં વાર્ષિક ધોરણે વ્યાજની ગણતરી કરવામાં આવે છે.

