FDમાં રોકાણ કરતા પહેલા આ 4 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો વ્યાજ સાથે પૈસાનું પણ થઈ શકે નુકસાન

ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) એટલે કે FD ભારતમાં સૌથી લોકપ્રિય અને સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંથી એક માનવામાં આવે છે. ઘણા લોકો પોતાની બચતને બેંક FDમાં રોકાણ કરે છે, કારણ કે તેમાં નિશ્ચિત વ્યાજ (Fixed Interest) મળે છે અને બજારની વધઘટની સીધી અસર થતી નથી. જોકે, FD કરતી વખતે કેટલીક નાની ભૂલો ભવિષ્યમાં નુકસાનનું કારણ બની શકે છે.
જો તમે પણ FDમાં રોકાણ કરો છો અથવા મોટી રકમ FDમાં મૂકવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
FDનું ઓટો-રિન્યૂઅલ બની શકે છે નુકસાનનું કારણ
ઘણી બેંકો FD મેચ્યોર (Maturity) થયા બાદ તેને આપમેળે રિન્યૂ (Auto-Renewal) કરવાની સુવિધા આપે છે. આ સુવિધા સરળ છે, પરંતુ હંમેશાં ફાયદાકારક હોય એવું જરૂરી નથી.
માની લો કે તમે જે સમયે FD કરી હતી ત્યારે વ્યાજદર વધારે હતો, પરંતુ મેચ્યોરિટી સમયે બેંકે વ્યાજદર ઘટાડી દીધો. આવી સ્થિતિમાં FD ઓટોમેટિક રિન્યૂ થઈ જાય તો તમને ઓછું વ્યાજ મળી શકે છે. તેથી મેચ્યોરિટી પહેલાં નવી વ્યાજદરની તપાસ કરવી જોઈએ.
સમય પહેલાં FD તોડતા પહેલા પેનલ્ટી તપાસો
ઘણા લોકો માને છે કે જરૂર પડે ત્યારે FD તોડીને સરળતાથી પૈસા મેળવી શકાય છે. આ શક્ય છે, પરંતુ પ્રીમેચ્યોર વિથડ્રોઅલ (Premature Withdrawal) પર બેંક પેનલ્ટી વસૂલી શકે છે.
આ ઉપરાંત FD કરતી વખતે નક્કી કરાયેલ વ્યાજદર પ્રમાણે જ તમને રિટર્ન મળે તે જરૂરી નથી. FD તોડતા પહેલા બેંકના નિયમો અને પેનલ્ટી ચાર્જ (Penalty Charges) ચોક્કસ તપાસો.
લાંબી અવધિની FD હંમેશાં શ્રેષ્ઠ નથી
લાંબા સમયની FDમાં ક્યારેક વધુ વ્યાજ મળતું હોય છે, પરંતુ માત્ર વધારે રિટર્ન જોઈને ઘણા વર્ષો માટે પૈસા લોક કરવાનું ટાળવું જોઈએ.
જો ભવિષ્યમાં બાળકોના શિક્ષણ, ઘર, સારવાર અથવા અન્ય મોટી જરૂરિયાત માટે પૈસાની જરૂર પડે તો FD સમય પહેલાં તોડવી પડી શકે છે. પરિણામે વ્યાજમાં નુકસાન થઈ શકે છે.
આખી બચત એક જ FDમાં ન મૂકો
જો તમારી પાસે મોટી રકમ છે તો આખી રકમ એક જ FDમાં રોકાણ કરવાને બદલે તેને અલગ-અલગ FDમાં વહેંચવી વધુ યોગ્ય બની શકે છે. અલગ અવધિ (Tenure) અને અલગ મેચ્યોરિટી તારીખ રાખવાથી જરૂરિયાત પ્રમાણે પૈસા ઉપલબ્ધ થઈ શકે છે.
આ રીતે જો એક FD સમય પહેલાં તોડવી પડે તો બાકીની FD પર તેની અસર નહીં થાય.
રોકાણ કરતા પહેલા પ્લાન બનાવો
FD સુરક્ષિત રોકાણ વિકલ્પ છે, પરંતુ રોકાણ કરતા પહેલાં વ્યાજદર, અવધિ, ટેક્સ (Tax), પેનલ્ટી અને મેચ્યોરિટી નિયમો સમજવા જરૂરી છે. ખાસ કરીને મોટી રકમનું રોકાણ હોય તો માત્ર વધુ વ્યાજના આધારે નિર્ણય ન લેવો જોઈએ. તમારી નાણાકીય જરૂરિયાત અને લિક્વિડિટી (Liquidity)ને ધ્યાનમાં રાખીને FDનું આયોજન કરવું વધુ યોગ્ય છે.

