BUDGET 2026/ શેરબજારના ટ્રેડર્સ પર 'ટેક્સનો હથોડો'; જાણો શું છે આ STT અને કેવી રીતે તે રોકાણકારોના ખિસ્સા ખાલી કરશે?

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે સંસદમાં રજૂ કરેલા બજેટ 2026-27માં શેરબજારના રોકાણકારોને મોટો આંચકો આપ્યો છે. સરકારે ડેરિવેટિવ્ઝ માર્કેટ એટલે કે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) પરના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ રવિવારે ચાલુ બજારે સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. ટ્રેડર્સમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે - "આખરે સરકાર અમારી પાસેથી કેટલો ટેક્સ વસૂલશે?"
શું છે આ STT (Securities Transaction Tax)?
STT એ એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે, જે શેરબજારમાં થતા દરેક વ્યવહાર (ખરીદ-વેચાણ) પર વસૂલવામાં આવે છે. આ ટેક્સ સ્ટોક એક્સચેન્જ (NSE/BSE) દ્વારા વસૂલવામાં આવે છે અને સરકારની તિજોરીમાં જાય છે. STT ની સૌથી મોટી ખાસિયત એ છે કે ટ્રેડરને સોદામાં નફો થાય કે નુકસાન, આ ટેક્સ તો ચૂકવવો જ પડે છે. તે ઈક્વિટી શેર, મ્યુચ્યુઅલ ફંડ, ફ્યુચર્સ અને ઓપ્શન્સ એમ તમામ સેગમેન્ટમાં અલગ-અલગ દરે લાગુ પડે છે.
બજેટ 2026 : ટેક્સના દરમાં કેટલો વધારો થયો?
સરકારે ડેરિવેટિવ સેગમેન્ટમાં ટ્રેડિંગના ખર્ચમાં મોટો વધારો કર્યો છે:
| સેગમેન્ટ | જૂનો ટેક્સ દર | નવો ટેક્સ દર (બજેટ ૨૦૨૬) |
| ફ્યુચર્સ (Futures) | 0.02 % | 0.05 % (2.5 ગણો વધારો) |
| ઓપ્શન્સ (Options Premium) | 0.1 % | 0.15 % |
આ વધારાનો અર્થ એ છે કે જો તમે 1 કરોડના ફ્યુચર્સનો સોદો કરો છો, તો તમારે પહેલા 2000 રૂપિયા STT ચૂકવવો પડતો હતો, જે હવે વધીને 5000 રૂપિયા થઈ જશે. આ વધારાથી નાના ટ્રેડર્સની પ્રોફિટેબિલિટી પર સીધી અસર પડશે.
શેરબજારમાં કેમ મચી ગઈ અફરાતફરી?
બજેટમાં ટેક્સ વધારાની જાહેરાત થતા જ માર્કેટમાં ગભરાટ ફેલાયો હતો.
-
સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો: સેન્સેક્સ 2000 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, પાછળથી બજારે થોડી રિકવરી બતાવી હતી, પરંતુ બેન્ક નિફ્ટી અને અન્ય મોટા શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
-
ટ્રેડર્સની ચિંતા: ટ્રેડર્સનું કહેવું છે કે એક તરફ બજારમાં જોખમ વધી રહ્યું છે અને બીજી તરફ સરકાર ટેક્સ વધારી રહી છે, જેનાથી બજારમાં લિક્વિડિટી (તરલતા) ઘટશે.
ઇતિહાસ અને ડબલ ટેક્સેશનની સમસ્યા
ભારતમાં STT ની શરૂઆત 1 ઓક્ટોબર 2004 ના રોજ થઈ હતી. તે સમયે તેનો હેતુ શેરબજારમાં ટેક્સની ચોરી રોકવાનો અને LTCG (લોંગ ટર્મ કેપિટલ ગેઈન) ટેક્સ નાબૂદ કરવાનો હતો.
મોટી વિસંગતતા: 2018 ના બજેટમાં સરકારે LTCG ટેક્સ ફરી લાગુ કર્યો, પરંતુ STT ને નાબૂદ કર્યો નહીં. આનાથી રોકાણકારો પર 'ડબલ ટેક્સ' નો બોજ પડવા લાગ્યો છે - પહેલા ટ્રાન્ઝેક્શન પર STT ભરો અને પછી નફા પર કેપિટલ ગેઈન ટેક્સ ભરો.
ઝેરોધાના નિતિન કામથની ચેતવણી
દેશની સૌથી મોટી બ્રોકિંગ ફર્મ Zerodha ના કો-ફાઉન્ડર નિતિન કામથ એ આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, STT કલેક્શનનો ટાર્ગેટ 78000 કરોડ હતો પરંતુ વસૂલાત ઓછી થઈ રહી છે. ટેક્સ વધારવાથી વોલ્યુમ ઘટી શકે છે, જે અંતે સરકારની કુલ ટેક્સ આવક ઘટાડી શકે છે. ટ્રેડિંગ કોસ્ટ વધવાથી ભારતીય બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) નું આકર્ષણ ઘટી શકે છે.
ટ્રેડર્સને આ ટેક્સ સામે કેમ વાંધો છે?
માત્ર STT જ નહીં, છેલ્લા એક વર્ષમાં રોકાણકારો પર ટેક્સનો ભાર સતત વધ્યો છે:
-
STCG (Short Term Capital Gain): 15 % થી વધીને 20 % થયો.
-
LTCG (Long Term Capital Gain): 10 % થી વધીને 12.5 % થયો.
-
હવે STT માં વધારો થતા ટ્રેડર્સ માટે માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.
રોકાણકારો માટે શું છે બોધપાઠ?
જો તમે F&O માં ટ્રેડિંગ કરો છો, તો હવે તમારે તમારા 'બ્રેક-ઈવન' (નફો કે નુકસાન વગરની સ્થિતિ) પોઈન્ટની ફરીથી ગણતરી કરવી પડશે. હવે નફો મેળવવા માટે તમારે માર્કેટમાં વધુ મોટી મુવમેન્ટની જરૂર પડશે કારણ કે મોટો હિસ્સો ટેક્સમાં જ જતો રહેશે.
બજેટ 2026 ના આ નિર્ણયથી સરકારની આવકમાં વધારો થઈ શકે છે, પરંતુ શેરબજારના 'ઈકોસિસ્ટમ' માટે આ એક પડકારજનક સમય છે. લિક્વિડિટી ઘટવાથી બજારમાં વધુ અસ્થિરતા (Volatility) જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શું રોકાણકારો આ ટેક્સના ભાર સાથે અનુકૂલન સાધી શકશે કે પછી બજારમાં વોલ્યુમમાં મોટો ઘટાડો જોવા મળશે.

