VIDEO: લોનધારકોને મોટી રાહત: RBIએ રેપો રેટ યથાવત રાખ્યો, લોનની EMIમાં નહીં થાય વધારો
RBI Repo Rate: જો તમે હોમ લોન, કાર લોન કે કોઈ અન્ય વ્યક્તિગત લોન લીધી હોય અથવા લેવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.25% પર સ્થિર રાખવામાં આવ્યો છે.
આ નિર્ણયનો સીધો અર્થ એ થાય છે કે સામાન્ય જનતા પર લોનની EMIનો વધારાનો બોજ નહીં પડે અને હોમ કે ઓટો લોનના વ્યાજદરો હાલ પૂરતા યથાવત જ રહેશે.
ચાલુ વર્ષે રેપો રેટની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જૂન મહિનામાં યોજાયેલી એમપીસીની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટ સ્થિર રાખ્યો હતો. તે પહેલાં વર્ષ 2025 દરમિયાન આરબીઆઈએ લોનધારકોને મોટી રાહત આપતાં તબક્કાવાર રીતે રેપો રેટમાં કુલ 125 બેઝિસ પોઈન્ટ્સ (1.25%) નો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ રેપો રેટ 5.25% ના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જેને હાલમાં પણ જાળવી રાખવામાં આવ્યો છે.
શું હોય છે રેપો રેટ અને તેની EMI પર અસર?
રેપો રેટ (Repo Rate) એ એવો દર છે જેના પર ભારતીય રિઝર્વ બેંક દેશની અન્ય તમામ વાણિજ્યિક બેંકોને ધિરાણ (લોન) આપે છે.
જ્યારે રેપો રેટ વધે છે: બેંકો માટે આરબીઆઈ પાસેથી લોન લેવી મોંઘી બને છે, જેના કારણે બેંકો પણ પોતાના ગ્રાહકો માટે હોમ, ઓટો કે પર્સનલ લોનના વ્યાજદરમાં વધારો કરે છે અને ગ્રાહકોની EMI વધી જાય છે.
જ્યારે રેપો રેટ સ્થિર રહે છે: બેંકોના ધિરાણ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, જેથી ગ્રાહકોની હાલની EMI જેમની તેમ જળવાઈ રહે છે.
આરબીઆઈ ફુગાવો (મોંઘવારી) અને દેશના આર્થિક વિકાસ દર વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે સમયાંતરે મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ અંગે નિર્ણયો લેતી હોય છે.

