SBI ખાતાધારકો માટે મોટા સમાચાર, 1 ઓક્ટોબરથી ATM ના નિયમોમાં થશે મોટો ફેરફાર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ખાતાધારકો માટે 1 ઓક્ટોબર 2026થી એટીએમ વ્યવહારોના નિયમોમાં મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમોની અસર ખાસ કરીને બચત ખાતા અને પગાર ખાતા ધરાવતા ગ્રાહકો પર પડશે. કેટલાક ખાતાઓમાં મફત રોકડ ઉપાડની મર્યાદા બાદ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
BSBD ખાતામાં 4 મફત ઉપાડ
બેંકની માહિતી અનુસાર, મૂળભૂત બચત ખાતા (BSBD)માં દર મહિને ચાર વખત રોકડ ઉપાડ મફત રહેશે. પરંતુ ચાર મફત વ્યવહારો પૂર્ણ થયા બાદ કરવામાં આવતા દરેક એટીએમ ઉપાડ પર રૂ.15 અને તેના પર લાગતો જીએસટી ચૂકવવો પડશે. તેથી વારંવાર એટીએમમાંથી રોકડ ઉપાડતા ગ્રાહકોએ પોતાના માસિક વ્યવહારોની સંખ્યા પર ધ્યાન રાખવું પડશે.
પગાર ખાતાધારકો માટે પણ નિયમ બદલાશે
SBIના પગાર ખાતા (Salary Account) ધરાવતા ગ્રાહકો માટે પણ 1 ઓક્ટોબરથી નિયમ બદલાશે. અન્ય બેંકોના એટીએમ અને સ્વચાલિત જમા-ઉપાડ મશીન પર ડેબિટ કાર્ડથી મળતી મફત માસિક વ્યવહાર મર્યાદા 10થી ઘટાડીને 5 કરવામાં આવશે.
આ પાંચ મફત વ્યવહારમાં નાણાકીય તેમજ બિન-નાણાકીય બંને વ્યવહારોનો સમાવેશ થશે. એટલે કે રોકડ ઉપાડ ઉપરાંત એટીએમ પર ખાતાની બાકી રકમ તપાસવી અને લઘુ ખાતા પત્રક મેળવવા જેવા વ્યવહારો પણ આ મર્યાદામાં ગણાશે.
મફત મર્યાદા બાદ કેટલો ચાર્જ?
પાંચ મફત વ્યવહાર પૂર્ણ થયા બાદ છઠ્ઠા અને ત્યાર પછીના નાણાકીય વ્યવહાર માટે રૂ.23 અને તેના પર જીએસટી વસૂલવામાં આવશે. જ્યારે બિન-નાણાકીય વ્યવહાર માટે રૂ.11 અને જીએસટી ચૂકવવો પડશે.
આ ફેરફારને કારણે SBIના એવા ગ્રાહકોને ખાસ ધ્યાન રાખવું પડશે, જેઓ વારંવાર અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરે છે. મફત મર્યાદા પૂર્ણ થયા બાદ વધારાના ચાર્જથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી એટીએમ વ્યવહારોની સંખ્યા મર્યાદિત રાખવી વધુ યોગ્ય રહેશે.

