VIDEO: વેટિંગ ટિકિટનું ટેન્શન ખતમ! ટ્રેન ટિકિટ બુકિંગમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, રેલવે બદલશે 40 વર્ષ જૂના નિયમો
ટ્રેન ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે. આ માટે ભારતીય રેલવે મોટા પાયે કામ કરી રહ્યું છે. રેલવે પોતાની 40 વર્ષ જૂની સિસ્ટમમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. આનાથી ટ્રેન ટિકિટનું બુકિંગ વધુ પેસેન્જર ફ્રેન્ડલી બની જશે.
ભારતીય રેલવે પોતાની ટ્રેન ટિકિટોના બુકિંગને વધુ પેસેન્જર ફ્રેન્ડલી બનાવવા માટે તૈયાર છે. આ માટે તે પોતાની આશરે 40 વર્ષ જૂની 'પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ' (PRS)માં મોટા પાયે ફેરફાર કરી રહ્યું છે. આ નવી અને આધુનિક સિસ્ટમ આગામી ઓગસ્ટ મહિનાથી તબક્કાવાર રીતે જૂની સિસ્ટમનું સ્થાન લેવાનું શરૂ કરી દેશે.
ત્યારબાદ લોકોને ટ્રેનની ટિકિટ બુક કરાવવામાં વધુ સુવિધા રહેશે. તેમની વેટિંગ ટિકિટ કન્ફર્મ થવાની કેટલા ટકા શક્યતા છે, તેની પણ ઘણી ખરી સાચી માહિતી મુસાફરોને આપી શકાશે.
1986થી ચાલી આવતી સિસ્ટમને કરશે રિપ્લેસ
સૂત્રોએ જણાવ્યું કે:
- ટિકિટોનું બુકિંગ કરનારી આ નવી સિસ્ટમ 1986થી ઉપયોગમાં લેવાઈ રહેલા જૂના પ્લેટફોર્મનું સ્થાન લેશે.
- સિસ્ટમમાં કરવામાં આવી રહેલા આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટોના બુકિંગને વધુ ઝડપી બનાવવાનો છે.
- ટિકિટ એજન્ટોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અંત લાવવાનો છે.
- સાથે જ મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાનો છે.
ટ્રાન્ઝિશન દરમિયાન રાખવામાં આવશે ખાસ ધ્યાન
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે રેલ ભવનમાં આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને એ વાતનું ખાસ ધ્યાન રાખવા પણ જણાવ્યું છે કે, જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં શિફ્ટ થવાના આ ટ્રાન્ઝિશન (બદલાવના સમયગાળા) દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા કે ટિકિટ બુક કરાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ બેઠકમાં રેલવે રાજ્ય મંત્રી વી. સોમન્ના અને રવનીત સિંહ બિટ્ટુ પણ ઉપસ્થિત હતા.
વેટલિસ્ટ પ્રિડિક્શન નવી સિસ્ટમનો સૌથી ખાસ હિસ્સો
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત વેટલિસ્ટ પ્રિડિક્શન (વેટિંગ લિસ્ટનું અનુમાન) હશે. આ ટૂલનો ફાયદો મુસાફરોને તેમની વેટિંગ ટિકિટ કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે તે જણાવવામાં થશે. આ ટૂલની ચોકસાઈ 53 ટકાથી વધીને હવે 94 ટકા સુધી થઈ ગઈ છે. આનાથી મુસાફરો માટે પોતાની મુસાફરીનું આયોજન કરવું સરળ બનશે.
આ આધુનિક સિસ્ટમમાં ઘણા પ્રકારના ફેરફારો કરવામાં આવી રહ્યા છે જેથી ઓનલાઈન ટિકિટ બુકિંગની વધતી માંગને સરળતાથી સંભાળી શકાય. વર્તમાન સમયમાં 89 ટકા જેટલી ટિકિટોનું બુકિંગ ઓનલાઈન થઈ રહ્યું છે.

