VIDEO: MORNING BULLETIN: મેટા કંપનીની મુશ્કેલીઓ વધી, રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાયનું મોટું નિવેદન, ગુજરાતમાં મેઘરાજાનો કહેર
1. મેટા કંપનીની મુશ્કેલીઓ વધી વોટ્સએપનું નવું યુઝરનેમ ફીચર લોન્ચ થાય તે પહેલાં જ સતત વિવાદોમાં ઘેરાઈ ગયું છે. ભારત સરકાર બાદ હવે સોમાલિયા દેશે પણ આ ફીચર સામે ગંભીર વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે મેટા કંપનીની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. સોમાલિયા સરકારનું કહેવું છે કે, જો વોટ્સએપ પર મોબાઈલ નંબર વગર માત્ર યુઝરનેમથી લોકોનો સંપર્ક કરી શકાશે, તો ગુનેગારોની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ બની જશે. 2. રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાયનું મોટું નિવેદન અયોધ્યા રામ મંદિર દાન ચોરી વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ચંપત રાયે પત્ર જાહેર કરીને પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર રામચરિતમાનસની ચૌપાઈ સાથે પત્ર શેર કરી જણાવ્યું હતુ કે, SITનો અંતિમ રિપોર્ટ આવ્યા પછી તેઓ આ કથિત ચોરી અંગે ક્રમબદ્ધ રીતે આખું સત્ય સામે લાવશે. 3. બદ્રીનાથ ધામમાં ચઢાવાના સંચાલન પર ઉઠ્યા સવાલ ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ ધામમાં ચઢાવાના સંચાલન પર સવાલો ઉઠ્યા છે. ગેરરીતિના આરોપો વાયરલ થયા બાદ બદ્રી-કેદારનાથ મંદિર સમિતિએ CCTV ફૂટેજના આધારે કમિટી અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી અને આરોપી પ્રમોદ નૌટીયાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સેક્રેટરીને 'કારણ બતાવો નોટિસ' ફટકારી છે અને 48 કલાકમાં લેખિત જવાબ માંગ્યો છે. 4. પલસાણામાં 12 ઈંચ વરસાદ સુરત જિલ્લામાં તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને પલસાણા તાલુકામાં 12 ઈંચ વરસાદ પડતા અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં સ્થિતિ વધુ વિકટ બની છે. ધામરોડ અને પુણી ગામમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બારડોલી અને મહુવા તાલુકામાં 8-8 ઇંચ તથા અંબિકા તાલુકામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. વહીવટીતંત્ર સતર્ક છે અને સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. 5. નવસારી જીલ્લાના 89 માર્ગ બંધ ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે નવસારી જિલ્લામાં કુલ 89 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આમાંથી 84 રસ્તાઓ પાણીના ઓવરટોપિંગને કારણે, જ્યારે 4 રેલ્વે અંડરપાસમાં પાણી ભરાવાથી અને 1 રસ્તો નદી પર સ્ટ્રક્ચર ન હોવાના કારણે બંધ છે. 6. ભારે વરસાદથી ફ્લાઈટ સેવાઓ ખોરવાઈ અમદાવાદ એરપોર્ટ પર ભારે વરસાદને પગલે બે ફ્લાઈટ રદ કરવી પડી હતી, જ્યારે અન્ય 10 જેટલી ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા ઘણી મોડી ચાલી હતી. કેટલીક ફ્લાઈટોમાં 10 કલાક સુધીનો વિલંબ થતા હજારો મુસાફરો એરપોર્ટ પર જ કલાકો સુધી અટવાયા હતા. 7. આપની 66 વિધાનસભા બેઠકો પર નવી નિમણૂકો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રાજ્યની 66 બેઠકો માટે નવા પ્રભારીઓની નિમણૂક કરી છે. પાર્ટી દ્વારા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ આ યાદી જાહેર કરવામાં આવી હતી.
આજનું રાશિફળ “વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ચંદ્ર પરિવર્તન અને બુધાદિત્ય યોગને કારણે આર્થિક લાભ, કરિયરમાં પ્રગતિ અને ભાગ્યવર્ધક સાબિત થશે. મેષ, મિથુન, ધન અને મીન રાશિના લોકોએ આજે ખાસ સાવધાની રાખવી પડશે. કર્ક, કન્યા, તુલા અને મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય અને મધ્યમ ફળદાયી રહેશે." આજનું પંચાંગ "પંચાંગ મુજબ આજે અશ્વિની નક્ષત્ર અને સુકર્મ યોગનો સુંદર સમન્વય થઈ રહ્યો છે. આ શુભ સંયોગ નવી શરૂઆત, વેપાર-ધંધાના આયોજન અને બૌદ્ધિક તેમજ રચનાત્મક કાર્યો માટે અત્યંત ફળદાયી રહેશે. બુધવારનો દિવસ હોવાથી ગણેશજીની વિશેષ કૃપા સાથે શુભ ચોઘડિયા અને મુહૂર્તમાં હાથ ધરેલા કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થશે અને સફળતા તેમજ પ્રગતિના નવા દ્વાર ખુલશે.” આજનો ઇતિહાસ 8 જુલાઈ, ૧૪૯૮ના રોજ પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ લિસ્બનથી ભારત તરફ પોતાની પ્રથમ દરિયાઈ સફર શરૂ કરી હતી, જેના કારણે આગળ જતાં ભારત આવવાના નવા દરિયાઈ માર્ગની શોધ થઈ. સુંદર વિચાર સાથે કરો દિવસની સકારાત્મક શરૂઆત "આવડત કેવી રાખો કે તમને હરાવવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે"

