Tech Tips : ફોન ક્યારેય બંધ નથી કરતા? તો આ સમાચાર વાંચ્યા પછી ચોક્કસ દબાવશો Restart બટન!

આજે સ્માર્ટફોન આપણી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યો છે. સવારે એલાર્મ વાગવાથી લઈને રાત્રે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા સુધી, આખો દિવસ ફોન આપણી સાથે જ રહે છે. પરંતુ એક આદત એવી છે જેને મોટાભાગના લોકો અવગણે છે- ફોનને નિયમિત રીતે રીસ્ટાર્ટ (Restart) કરવો. ઘણા લોકો મહિનાઓ સુધી પોતાનો સ્માર્ટફોન બંધ જ નથી કરતા. કેટલાક તો એવા પણ હોય છે જે નવો ફોન ખરીદ્યા પછી માત્ર સિસ્ટમ અપડેટ દરમિયાન જ તેને રીસ્ટાર્ટ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ફોનને આખું વર્ષ સતત ચાલુ રાખવામાં આવે અને ક્યારેય રીસ્ટાર્ટ ન કરવામાં આવે તો શું થશે? જાણો અહીં...
ફોન ધીમો પડી શકે છે
જ્યારે તમે સતત ફોનનો ઉપયોગ કરો છો ત્યારે બેકગ્રાઉન્ડમાં ઘણી બધી પ્રોસેસ ચાલતી રહે છે. સમય જતાં ટેમ્પરરી ફાઇલો, કેશ ડેટા (Cache Data) અને સિસ્ટમ રિસોર્સિસનો વપરાશ વધતો જાય છે. જો કે, આધુનિક ઓપરેટિંગ સિસ્ટમ આ બધું સંભાળવાનો પ્રયાસ કરે છે, પરંતુ લાંબા સમય સુધી રીસ્ટાર્ટ ન કરવાને કારણે ફોન પહેલાં કરતાં ધીમો પડી શકે છે. એપ્સ ખુલવામાં વધુ સમય લઈ શકે છે અને મલ્ટિટાસ્કિંગનો અનુભવ પણ બગડી જાય છે.
બેટરી પર અસર પડી શકે છે
ફોનને રીસ્ટાર્ટ ન કરવાથી બેટરીની લાઈફ સીધી ખરાબ નથી થતી, પરંતુ બેકગ્રાઉન્ડમાં અટકેલી પ્રોસેસ અને સતત એક્ટિવ રહેતી સર્વિસીસ વધારાની એનર્જી (બેટરી) વાપરે છે. આની અસર બેટરી બેકઅપ પર જોવા મળી શકે છે. જો તમારો ફોન સામાન્ય કરતાં વધુ ઝડપથી ડિસ્ચાર્જ થઈ રહ્યો હોય, તો એક સાદું રીસ્ટાર્ટ ઘણીવાર આ સમસ્યાને દૂર કરી શકે છે.
એપ્સમાં મુશ્કેલીઓ આવવા લાગે છે
ક્યારેક તમે જોયું હશે કે કોઈ એપ અચાનક ફ્રીઝ થઈ જાય છે, નોટિફિકેશન આવવાનું બંધ થઈ જાય છે અથવા ઇન્ટરનેટ હોવા છતાં એપ બરાબર કામ નથી કરતી. આનું કારણ લાંબા સમયથી એક્ટિવ સિસ્ટમ પ્રોસેસ પણ હોઈ શકે છે. ફોન રીસ્ટાર્ટ કરવાથી મેમરી (RAM) સાફ થાય છે અને સિસ્ટમ એક નવી શરૂઆત કરે છે, જેનાથી આવી ઘણી નાની-મોટી સમસ્યાઓ આપોઆપ ઠીક થઈ જાય છે.
શું એક વર્ષ સુધી રીસ્ટાર્ટ કર્યા વગર ફોન ચાલી શકે?
ટેકનિકલ રીતે આનો જવાબ 'હા' છે. આધુનિક એન્ડ્રોઇડ (Android) અને આઇફોન (iPhone) લાંબા સમય સુધી બંધ કર્યા વિના કામ કરી શકે છે. જો કે એનો અર્થ એ નથી કે એવું કરવું ફાયદાકારક છે.
એક્સપર્ટ્સનું માનવું છે કે અઠવાડિયામાં એકવાર અથવા તો દર થોડા દિવસે ફોનને રીસ્ટાર્ટ કરવાથી સિસ્ટમ રિસોર્સિસ રિફ્રેશ થાય છે, નાની-મોટી ટેકનિકલ ખામીઓ દૂર થાય છે અને ડિવાઇસનું પરફોર્મન્સ ઘણું સારું રહે છે.

