VIDEO: Tech news / રોબોટ બન્યો બૌદ્ધ ભિક્ષુ, પ્રવચનથી લઈને કરશે આ કામ, સિયોલના મંદિરમાં લીધા શપથ
આજના સમયમાં ટેકનોલોજી દરરોજ નવી સીમાઓ ઓળંગી રહી છે. પરંતુ દક્ષિણ કોરિયામાં જે બન્યું તેણે લોકોને આશ્ચર્યમાં પણ મૂક્યા અને વિચારતા પણ કરી દીધા. અહીં પહેલીવાર એક હ્યુમનોઇડ રોબોટને બૌદ્ધ ભિક્ષુ (મંક) બનાવવામાં આવ્યો છે.
સિયોલના પ્રખ્યાત જોગ્યે મંદિરમાં એક ખાસ સમારોહ દરમિયાન આ રોબોટને સત્તાવાર રીતે બૌદ્ધ દીક્ષા આપવામાં આવી હતી. આ રોબોટનું નામ 'ગાબી' રાખવામાં આવ્યું છે અને તેની ઊંચાઈ અંદાજે 130 સેન્ટિમીટર છે.
સાચા બૌદ્ધ ભિક્ષુની જેમ મળી ટ્રેનિંગ
આ કોઈ સામાન્ય ટેક શો નહોતો, પરંતુ બરાબર એવો જ ધાર્મિક કાર્યક્રમ હતો જેવો મનુષ્યો માટે હોય છે. આ રોબોટે પરંપરાગત બૌદ્ધ પોશાક પહેર્યો, હાથ જોડીને પ્રાર્થના કરી અને બૌદ્ધ ધર્મના નિયમોનો સ્વીકાર કર્યો. સમારોહમાં હાજર લોકોની સામે તેણે એ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા, જે એક નવા ભિક્ષુને પૂછવામાં આવે છે.
દીક્ષા પહેલા આ રોબોટે ટ્રેનિંગ પણ લીધી હતી. માણસોની જેમ તેને પણ નવદીક્ષિત એટલે કે શરૂઆતી સાધુની જેમ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સત્તાવાર રીતે બૌદ્ધ સમુદાયનો ભાગ બનાવવામાં આવ્યો.
આવું કરવાની જરૂર કેમ પડી?
એશિયાના ઘણા દેશોમાં બૌદ્ધ મઠોમાં સાધુઓની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. આવી સ્થિતિમાં રોબોટને એક આસિસ્ટન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ રોબોટ મંદિરમાં આવતા લોકોને માહિતી આપી શકે છે અને તેમને રીત-રિવાજો પણ શીખવી શકે છે.
નવી પેઢી ધાર્મિક જીવનમાં ઓછો રસ લઈ રહી છે અને વૃદ્ધ ભિક્ષુઓની સંખ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં મંદિરો ચલાવવા મુશ્કેલ બની રહ્યા છે. આ પહેલા પણ જાપાન અને દક્ષિણ કોરિયામાં આવા પ્રયોગો થઈ ચૂક્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત રોબોટ્સને બૌદ્ધ ગ્રંથો પર ટ્રેન કરવામાં આવે છે જેથી તેઓ લોકોને આધ્યાત્મિક સલાહ આપી શકે.
દક્ષિણ કોરિયામાં તૈયાર કરવામાં આવેલા આ રોબોટમાં એવી ટેકનોલોજી નાખવામાં આવી છે જે માણસોની જેમ વાત કરી શકે, પ્રશ્નો સમજી શકે અને ધાર્મિક સંદર્ભમાં જવાબ આપી શકે.
બૌદ્ધ ગ્રંથો અને ઉપદેશો પર અપાઈ ટ્રેનિંગ
આ રોબોટને બૌદ્ધ ગ્રંથો અને ઉપદેશો પર ટ્રેન કરવામાં આવ્યો છે. એટલે કે જો કોઈ વ્યક્તિ તેને ધર્મ કે જીવન સાથે જોડાયેલા પ્રશ્નો પૂછે છે, તો તે જવાબ આપી શકે છે. તે મંદિરમાં આવતા લોકોને પ્રાર્થનાની રીતો સમજાવે છે, બૌદ્ધ પરંપરાઓ વિશે માહિતી આપે છે અને કેટલાક કિસ્સાઓમાં લોકોને માનસિક શાંતિ કે સલાહ પણ આપી શકે છે.

