16 વર્ષ સુધીના બાળકો સોશિયલ મીડિયાનો નહીં કરી શકે ઉપયોગ! આ દેશે લીધો મહત્ત્વનો નિર્ણય

બાળકોમાં સ્માર્ટફોનનું વધતું વ્યસન સામાન્ય બની ગયું છે. મોબાઈલ ફોનના કારણે બાળકો અભ્યાસની સાથે શારીરિક પ્રવૃત્તિઓથી પણ દૂર થઈ રહ્યા છે. જેના કારણે તેના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ગુરુવારે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો : Safety Tips : તમારો ફોન ચોરાઈ જતાં જ થઈ જશે લૉક, બસ કરી લો આ સેટિંગ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું કે ટેક કંપનીઓ બાળકોની સુરક્ષાને લઈને જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં તેની સરકાર આ પગલું ભરવા જઈ રહી છે. તેણે વધુમાં જણાવ્યું કે આ નિર્ણય માતા-પિતા માટે છે. હકીકતમાં સોશિયલ મીડિયા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેને રોકવા માટે સરકાર આ પગલું ઉઠાવી રહી છે.
એન્થની અલ્બનીઝે આ વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે ઘણી વાત કરી હતી. આવી સ્થિતિમાં આ પહેલીવાર નથી જ્યારે તેમણે સોશિયલ મીડિયાના ઉપયોગ પર વય મર્યાદા લાદવાની વાત કરી હોય.
ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે કહ્યું કે આ નિર્ણયની અસર મેટાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક તેમજ ટિકટોક અને એક્સ (અગાઉ ટ્વિટર) પર જોવા મળશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જવાબદાર રહેશે
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને ટેક કંપનીઓની જવાબદારી રહેશે અને તેણે ખાતરી કરવાની રહેશે કે યૂઝર્સની વય મર્યાદા મુજબ હોય. તેમણે કહ્યું કે આની જવાબદારી બાળકોના માતા-પિતાની રહેશે નહીં. કારણ કે તે પહેલાથી જ બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને ચિંતિત છે. આવી સ્થિતિમાં જો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, તો માતાપિતા અથવા યુવાનો પર કોઈ દંડ થશે નહીં.
નિર્ણયને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે
સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવાના નિર્ણયને હકારાત્મક સમર્થન મળ્યું છે. એન્થની અલ્બનીઝે કહ્યું કે નવા કાયદા આ સપ્તાહ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ સાથે નવેમ્બરમાં આ કાયદો સંસદમાં રજૂ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે તેની શરૂઆત ઓસ્ટ્રેલિયાથી થઈ રહી છે અને ભવિષ્યમાં તેની અસર અન્ય દેશોમાં પણ જોવા મળશે. જે રીતે સોશિયલ મીડિયા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે. આથી આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.

