AI ઈમ્પેક્ટ સમિટ દરમિયાન આર્થર મેન્શે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું!

એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન ફ્રેન્ચ એઆઈ કંપની મિસ્ટ્રલ એઆઈના સીઈઓ આર્થર મેન્શનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આર્થરે કહ્યું કે, હાલ કંપનીઓ જે સોફ્ટવેર ઉપયોગમાં લઈ રહી છે તેમાંના ૫૦ ટકા કરતાં વધુ સોફ્ટવેરની જગ્યા એઆઈ લઈ શકે છે. આર્થરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે, એન્ટ્રોપિકના કોવર્ક પ્રોડ્કટ બાદ મોટી સોફ્ટવેર કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોને લાગી રહ્યું છે કે, એઆઈ હાલના એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર કરતાં વધુ કામ કરી શકે છે.
મેન્શે કહ્યું કે, હાલ આઈટી વિભાગો સોફ્ટવેર એઝ અ સર્વિસ પાછળ જે ખર્ચ કરે છે તેનો અડધાથી વધુ ખર્ચ એઆઈ તરફ વળી જશે. એઆઈને કારણે સોફ્ટવેરને વધુ ઝડપી બનાવી શકાય છે. જો કંપનીઓ પાસે યોગ્ય ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો તેઓ પોતાના ડેટાને એઆઈ સિસ્ટમ સાથે જોડીને જરૂરી એપ્લિકેશન બનાવી શકે છે.
કંપનીઓ જાતે જ પોતાના સોફ્ટવેર બનાવશે
થોડા સમયમાં કંપનીઓ ખરીદી પ્રક્રિયા અથવા સ્પલાય ચેઈન મેનેજમેન્ટ માટે પોતાની જરૂરિયાત મુજબની એપ્લિકેશન બનાવશે. આજથી પાંચ વર્ષ પહેલા આ કામ માટે અલગ સોફ્ટવેર લેવો પડતો હતો. કંપનીઓ હવેથી રીપ્લેટફોર્મિંગ કરી રહી છે એટલે કે, ઘણી કંપનીઓ પોતાની ૨૦ વર્ષ જૂની મોંઘી સિસ્ટમોને બદલીને એઆઈ આધારિત સિસ્ટમ અપનાવી રહી છે.
તેમના મતે, કંપનીઓના ડેટાને સંભાળતા સિસ્ટમ ઓફ રેકોર્ડ પ્રકારના સોફ્ટવેરમાં કોઈ બદલાવ આવશે નહીં. આ સોફ્ટવેર એઆઈ સાથે મળીને કામ કરશે.

