ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા બહાર પડાયેલા નવા ટેન્ડરના વિરોધમાં ઇશાનનાં રાજ્યોમાં રાંધણગેસ (એલપીજી)ના સિલિન્ડર પહોંચાડતા ટ્રાન્સપોર્ટર્સ હડતાળ પર ઊતરી ગયા હતા. ઇન્ડિયન ઓઇલે ગુવાહાટીને બદલે કોલકાતામાં ટેન્ડર બહાર પાડ્યું હતું. ઉપરાંત હાલના દરો ઘટાડવાની હિલચાલ પણ હતી. એની સામે નોર્થ ઇસ્ટ પેક્ડ એલપીજી ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશને બેમુદત હડતાળની જાહેરાત કરી હતી. આ એસોસિયેશનમાં ચાર હજાર સભ્યો છે જેમની આઠ હજાર ટ્રકો એલપીજી સિલિન્ડરની હેરફેર કરતી હતી.

સરકારી સૂત્રોએ કહ્યું હતું કે હડતાળના પગલે દસ બોટલિંગ પ્લાન્ટ્સ દ્વારા ગેસ ભરેલાં હજારો સિલિન્ડર્સનું વિતરણ ખોરવાયું હતું. જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ ગૃહિણીઓની તકલીફ વધતી જશે. ટ્રાન્સપોર્ટર્સની હડતાળ સાતે ગુવાહાટીની બહારના વિસ્તારોના મિર્ઝા પ્લાન્ટ, ઉત્તર ગુવાહાટી પ્લાન્ટ ઉપરાંત પશ્ચિમ આસામમાં બોંગઇગાંવ પ્લાન્ટ વગેરે પ્લાન્ટ પણ બંધ થઇ ગયા હતા.
એસોસિયેશનના અધ્યક્ષ નિરંજન મહંતાએ કહ્યું કે અમે છેલ્લાં બે વર્ષથી રજૂઆત કરીએ છીએ કે ટેન્ડર કોલકાતામાં નહીં પણ ગુવાહાટીમાં બહાર પડવા જોઇએ. અમને ખૂબ ટૂંકી નોટિસે કોલકાતા બોલાવવામાં આવે છે પરિણામે અવરજવરનો ખર્ચ વધી જાય છે. ઉપરાંત 2011 પછી ટ્રાન્સપોર્ટના દરોમાં વધારો થયો નથી એટલે અમારા નફામાં પચીસ ટકાનો ઘટાડો થયો હતો.

અમને ટ્રક દીઠ 306ને બદલે 342 સિલિન્ડર્સ ભરવાની ફરજ પડાય છે પરિણામે ટ્રકની અને ચાલકોની સુરક્ષા જોખમાતી હતી. ઉપરાંત અમને છ પૈડાંને બદલે દસ પૈડાની ટ્રક લેવાનો આગ્રહ કરાતો હતો. પહાડી વિસ્તારોમાં ગેસની ટાંકી ભરેલી હેવી ટ્રકો ચલાવવી એ ટ્રક અને ચાલક બંને માટે જોખમરૂપ નીવડી શકે. જો કે ઇન્ડિયન ઓઇલના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે અમને હડતાળની નોટિસ મળી નથી. અમે આ હડતાળ વિશે કશું જાણતા નથી. પ્રવક્તાએ એવો પણ દાવો કર્યો હતો કે બજારમાં પૂરતાં ગેસ સિલિન્ડર્સ છે એટલે નાગરિકોને કોઇ તકલીફ નહીં પડે.
READ ALSO
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી