અરવલ્લીમાં ભોગ બનેલા ખેડૂતોની ગુજરાત ATS પુછપરછ કરી રહી છે. સુત્રો અનુસાર બાયડના આશિષ પટેલ નામના વ્યક્તિએ ATS સામે ખુલાસો કર્યો છે કે કિરણ પટેલ લાલ લાઈટવાળી ગાડીમાં ફરતો હતો. તે સીએમઓમાં જોડાયો હોવાની ઓળખ આપતો હતો. અરવલ્લીમાં છેતરાયેલા 13 ખેડૂતો સરકાર પાસે મદદ માંગી રહ્યાં છે.

કિરણ પટેલ પાસે અમદાવાદમાં ભવ્ય ગાડી અને બંગલો
તેણે ગઢડાના એક મોટા સંત સાથે પણ ઠગાઈ આચરી છે. તેણે છ કરોડનું ફૂલેકુ ફેરવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તેણે એક પૂર્વ મંત્રીના ભાઈને પણ છેતર્યાં છે.ગુજરાતના આ મિસ્ટર નટવરલાલ પાસે અમદાવાદમાં ભવ્ય ગાડી અને બંગલો છે. શીલજમાં પણ આલીશાન ફાર્મ હાઉસ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તે ઉપરાંત તેની બ્રાન્ડેડ ચાના કેફેમાં પણ ભાગીદારી હોવાનું સામે આવ્યું છે. આ કેફેના આઉટલેટ્સ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યાં છે.
કિરણની ઠગાઈની જાળમાં અનેક લોકો ફસાયા
આ ઉપરાંત તેના સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ સાથેના ફોટા મુકીને તેની ઓળખાણ ટોચના નેતાઓ સાથે હોવાનું કહીને પણ ગુજરાતમાં ઠગાઈ આચરતો હોવાનું સામે આવ્યું છે. તેની ઠગાઈની જાળમાં ગુજરાતના કેટલાંક સંતો, ખેડૂતો, નિવૃત પોલીસ અધિકારીઓ અને રાજકારણી ફસાયા હોવાનું ખુલ્યું છે. ગુજરાત પોલીસ પણ કિરણની કુંડણીની તપાસ કરવામાં લાગી છે.
સચિવાલયમાં મંત્રીના પીએ તરીકેની ઓળખ આપતો
શ્રીનગર પોલીસ દ્વારા હાલ તો તેની સામે કલમ 419,420, 468 અને 471 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. ચાર મહિનાથી કાશ્મીરમાં સરકારી મહેમાનગતિ માણી રહેલા આ ઠગે સંવેદનશીલ ઉરીની બોર્ડર પોસ્ટથી લઈને એલઓસી ઉપરાંત આર્મીના ઓપરેશનલ એરિયામાં મુલાકાત લીધી હતી. માત્ર એટલું જ નહીં પીએમ ઓફિસના હોદ્દાની રૂએ તેણે શ્રીનગરમાં સરકારી મીટિંગો પણ કરી હોવાનું બહાર આવ્યું છે. ભાજપના અનેક નેતાઓ અને પોલીસ અધિકારીઓ તેના ફોલોઅર્સ છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તે સચિવાલયમાં આંટાફેરા કરતો હતો. એક પૂર્વ મંત્રીના પીએ તરીકેની ઓળખ આપીને તે કામો કરાવી લેતો હતો.