મંગળવારથી શરૂ થનારા વિધાનસભાના બે દિવસના સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાઇ. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના દેવા માફી, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા સહિત વિવિધ મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસે આક્રમક રણનીતિ બનાવી છે.
ત્યારે ગાંધીનગરમાં આયોજીત ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પ્રધાનમંડળ સામે કોંગ્રેસે આપેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી. સાથે જ કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ કેવી રીતે આપવો તે અંગે નેતાઓએ બેઠકમાં રણનીતિ ઘડી હતી. તો આ બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધી તમામ રણનીતિ અને કામગીરી ગણાવી હતી.
ગાંધીનગરમાં આવતીકાલે ખેડૂત મહાસંમેલન અને કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે. ત્યારે આજથી જ પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. વિધાનસભા ઘેરાવ ન થઈ શકે તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તો સાથે જ વિધાનસભાના તમામ દરવાજા પોલીસ છાવણીમાં ફેરવાશે. આજે પોલીસ સ્ટાફ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું અને કોને ક્યાં બંદોબસ્ત અને કઈ પ્રકારે બંદોબસ્ત કરવાનો છે તેનું માર્ગદર્શન ઉચ્ચ અધિકારીઓએ આપ્યું હતું.