અધિક આસો મહીનાના આરંભની સાથે રવિવારે અમદાવાદ શહેરમાં આંધી સાથે વરસાદ ખાબકતા સમી સાંજે રાત જેવો માહોલ છવાઈ ગયો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ જતા રજાના દિવસે પણ બહાર નીકળેલા લોકો અને વાહન ચાલકોને વરસાદ ધીમો પડે એની રાહ જોતા જે તે સ્થળે ઉભા રહી જવાની ફરજ પડી હતી.

આ ઝોનમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો. શહેરમાં સરેરાશ 17.10 મિ.મી.વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 37.92 ઈંચ થવા પામ્યો છે.
શનિવારે રાતે એકના સુમારે અમદાવાદ શહેરમાં વાદળોની ગર્જના વચ્ચે હળવા વરસાદ બાદ રવિવારે સાંજના પાંચના સુમારે ફરી એકવાર અમદાવાદ શહેરમાં આંધી સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો.સાંજના સમયે પણ રાત જેવો માહોલ સર્જાતા વિઝીબિલિટી ઓછી થઈ જતા નજીકના અંતરે રહેલી ચીજ પણ જોવી કપરી બની હતી.

મેઘરાજાની તોફાની બેટિંગ, એક જ કલાકમાં ચોતરફ પાણી-પાણી
રવિવાર રજાનો દિવસ હોઈ ફરવા નીકળેલા લોકો અને વાહનચાલકોને ભારે પવનની વચ્ચે થોડો સમય થંભી જવાની નોબત આવી પડી હતી.સાંજે પાંચથી છના એક કલાકની અંદર શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજમાં સૌથી વધુ પોણાચાર ઈંચ વરસાદ ખાબકી પડતા ચોતરફ પાણી ફરી વળ્યા હતા.
શહેરના કોટ વિસ્તારમાં ખાડિયા, રાયપુર, કાલુપુર ઉપરાંત સરસપુર, માણેકબાગ, થલતેજ, સતાધાર, નવરંગપુરા, નારણપુરા, પ્રહલાદનગર, આનંદનગર, શિવરંજની, પંચવટી, સીટીએમ, પાલડી, સાબરમતી,ચાંદખેડા સહીતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

રવિવારે સવારના છથી સાંજના સાત સુધીમાં સરખેજમાં 86.50 મિ.મી., મણીનગરમાં 18 મિ.મી., ચાંદખેડામાં 9 મિ.મી., દાણાપીઠ વિસ્તારમાં અને પાલડીમાં 8-8 મિ.મી. વરસાદ વરસ્યો હતો.
શહેરમાં રવિવારે સરેરાશ 17.10 મિ.મી.વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 963.11 મિ.મી.એટલે કે 37.92 ઈંચ થવા પામ્યો છે.મ્યુનિ.દ્વારા તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના ગેટ નંબર-26,27 અને 28ને બે ઈંચ ખોલવામાં આવ્યા હતા.વાતાવરણ જોતા રાત્રિના સમયે પણ શહેરમાં હળવા વરસાદી ઝાપટા યથાવત રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
Read Also
- કોરોના વાયરસથી રાજ્યની દયનીય સ્થિતિ / સિદ્ધપુરના મુક્તિધામ સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોની લાંબી કતાર
- ગિલોય જ્યુસના ફાયદા- ગિલોયનો રસ પ્રતિરક્ષા માટે અમૃત છે, જાણો તેના ફાયદા
- કોરોના મહામારીમાં MHA એ પોતાના કાર્યાલયોમાં ફક્ત 50% જ કર્મચારીઓને હાજર રહેવા હુકમ કર્યો
- વાયરસનો કહેર / ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી
- વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય
