ભારતે પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલા કુલભૂષણ જાધવના કબૂલાતનામા દર્શાવતો તાજેતરનો વીડિયો હાસ્યાસ્પદ ગણાવ્યો છે.
ભારતે આ વીડિયો નકારતા જણાવ્યું છે કે આ મામલામાં ઘડવામાં આવેલી વાર્તાથી સચ્ચાઈ બદલાઈ શકે નહીં. વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘ભારત આશા કરે છે કે પાકિસ્તાન દુષ્પ્રચારના માધ્યમથી આંતરરાષ્ટ્રીય અદાલતની કાર્યવાહીને પ્રભાવિત કરવાનું ટાળશે.’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગ્લેએ કહ્યું છે કે, આ ઘટનાક્રમ મનઘડંત આરોપો પર જાધવ વિરુદ્ધ પારદર્શકતાની ઉણપ અને કાર્યવાહીની હસ્યાસ્પદ પ્રકૃતિ દર્શાવે છે. જાધવના કાયદાકીય અને રાજદ્વારી મદદ મેળવવાનાં અધિકારનું સતત ઉલ્લંઘન કરાયું છે અને આઈસીજેની કાર્યવાહીને પૂર્વાગ્રહોથી પ્રભાવિત કરવાની કોશિશ કરાઈ છે. આવી મનઘડંત વાતોથી સચ્ચાઈ બદલાઈ જવાની નથી અને એ તથ્યોને નજરઅંદાજ કરી શકાય તેમ નથી કે ભારત અને જાધવ પ્રત્યે પાકિસ્તાન પોતાના આંતરરાષ્ટ્રીય દાયિત્વોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
તેમને આશા છે કે પાકિસ્તાન જાધવની સજા પર રોક લગાવનારા આઈસીજેના આદેશનું પાલન કરશે અને દુષ્પ્રચાર દ્વારા આઈસીજેની કાર્યવાહીને પ્રભાવિત કરવાની કોશિશથી બચશે.
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાની સેનાએ જાધવના કથિત કબૂલાતનામાવાળો બીજો વીડિયો જાહેર કરીને તેમાં નિર્દોષ ભારતીય નાગરીકને કથિતપણે આતંકવાદી અને જાસૂસીની બાબતો સ્વીકારતો ચિત્રિત કરવામાં આવ્યો છે.